ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં સ્પષ્ટપણે જણાવ્યું કે તેમના દેશનો પરમાણુ હથિયાર બનાવવાનો કોઈ ઈરાદો નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં સ્પષ્ટપણે જણાવ્યું કે તેમના દેશનો પરમાણુ હથિયાર બનાવવાનો કોઈ ઈરાદો નથી. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમી દેશો ઈરાન પર નવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે.
પેઝેશકિયાને વિશ્વ નેતાઓ સમક્ષ સંબોધન કરતાં કહ્યું, “હું આ મહાસભા સમક્ષ ફરીથી જાહેરાત કરું છું કે ઈરાને ક્યારેય પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો નથી અને ક્યારેય કરશે પણ નહીં. અમને પરમાણુ હથિયારોની જરૂર નથી.”
આ નિવેદન પહેલાં, 28 ઓગસ્ટે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો ફરીથી લાગુ કરવા માટે 30-દિવસીય પ્રક્રિયા શરૂ કરી હતી. આ દેશોનો આરોપ છે કે ઈરાન 2015ના પરમાણુ કરારનું પાલન કરી રહ્યું નથી.
પેઝેશકિયાને પોતાના સંબોધનમાં ઇઝરાયેલ અને અમેરિકાના તાજેતરના હુમલાઓની પણ આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આવા હુમલાઓથી આંતરરાષ્ટ્રીય વિશ્વાસ અને ક્ષેત્રમાં શાંતિની સંભાવનાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે જૂનમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ વૈશ્વિક મંચ પર આ તેમનું પ્રથમ સંબોધન હતું.











