બુધવારે પટનામાં એક કાર્યક્રમમાં મહા ગઠબંધનના ચૂંટણી ઢંઢેરાનો પહેલો ભાગ ‘EBC ન્યાય સંકલ્પ’ તરીકે જાહેર કર્યો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે બુધવારે પટનામાં એક કાર્યક્રમમાં મહા ગઠબંધનના ચૂંટણી ઢંઢેરાનો પહેલો ભાગ ‘EBC ન્યાય સંકલ્પ’ તરીકે જાહેર કર્યો. આ ઘોષણા પત્રમાં અતિ પછાત વર્ગ (EBC) માટે પંચાયત અને નગરપાલિકાઓમાં આરક્ષણ વધારીને 30% કરવા અને SC-STની જેમ EBC અત્યાચાર નિવારણ કાયદો બનાવવા જેવા 10 મુખ્ય વાયદાઓ કરવામાં આવ્યા છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, આને મુખ્યમંત્રી નીતિશ કુમારના મુખ્ય વોટબેંકમાં ઘૂસણખોરી કરવાના મહા ગઠબંધનના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
EBCનું મહત્વ:
2023માં જાહેર થયેલી જાતિ આધારિત ગણતરી મુજબ, બિહારમાં અતિ પછાત વર્ગની વસ્તી 36.01% છે, જે કુલ વસ્તીના એક તૃતીયાંશ કરતાં પણ વધુ છે. આ કારણે EBC જાતિઓ બિહારના રાજકારણમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વર્ગને અત્યાર સુધી સીએમ નીતિશ કુમારની પાર્ટી JDUનો મુખ્ય મતદાર આધાર માનવામાં આવતો હતો. હવે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સહિતના મહા ગઠબંધનના નેતાઓ આ વર્ગને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ખુલીને મેદાનમાં ઉતર્યા છે.
મહા ગઠબંધને વચન આપ્યું છે કે સત્તામાં આવ્યા બાદ પંચાયત અને નગરપાલિકાઓમાં વર્તમાન 20% આરક્ષણને વધારીને 30% કરવામાં આવશે. આ ખાસ વાત છે કે 2005માં સત્તામાં આવ્યા બાદ નીતીશ કુમારે જ અતિ પછાત વર્ગ માટે 20% આરક્ષણનો કાયદો બનાવ્યો હતો, જેના કારણે આ વર્ગનો તેમના પર ભરોસો વધ્યો અને તેઓ લગભગ બે દાયકાથી સત્તામાં છે.
રાહુલ ગાંધીનો આક્ષેપ
આ ‘ન્યાય સંકલ્પ’ પત્ર જાહેર કરતી વખતે રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે હાલની NDA સરકારે અતિ પછાત વર્ગ માટે કશું કર્યું નથી, ફક્ત તેમના મત લીધા અને પછી તેમને અવગણ્યા. રાહુલે વચન આપ્યું કે મહા ગઠબંધન દ્વારા કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂરા કરવામાં આવશે.











