આગામી નવરાત્રિ માટે ગાંધીનગર મનપાએ કડક ગાઈડલાઇન જાહેર કરી છે. આયોજકો માટે હવે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC) અને ઇમર્જન્સી એક્ઝિટ ફરજિયાત છે. જાણો શું છે નવા નિયમો અને તેનું પાલન ન કરનાર સામે કેવા પગલાં લેવાશે.

ગાંધીનગર, રવિવાર
નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) એ આયોજકો માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ ગરબા ના આયોજન સ્થળો પર ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
શું છે મુખ્ય નિયમો?
ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC): આયોજકોએ ફરજિયાત રીતે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC) મેળવવું પડશે. આ માટે ગુજરાત ફાયર સેફ્ટીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Capacity અને Entry: પંડાલની ક્ષમતા અનુસાર જ લોકોને એન્ટ્રી આપવાની રહેશે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટરની જગ્યા હોવી જોઈએ. આયોજકે દૈનિક એન્ટ્રીનો રેકોર્ડ પણ જાળવવો પડશે.
ઇમર્જન્સી એક્ઝિટ: કોઈપણ કટોકટી દરમિયાન લોકોને સરળતાથી બહાર કાઢી શકાય તે માટે ઓછામાં ઓછા 2 ઇમર્જન્સી એક્ઝિટ Gate રાખવા ફરજિયાત છે. આ ગેટ્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અને તેનો રસ્તો ખુલ્લો હોવો જોઈએ.
સ્થળ પસંદગી: ગરબાનું આયોજન હોસ્પિટલ, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, કે હાઈ-ટેન્શન લાઇન જેવા સંવેદનશીલ વિસ્તારોથી દૂર કરવું પડશે. ફાયર ફાઇટર વ્હીકલ સરળતાથી સ્થળ સુધી પહોંચી શકે તે માટે રસ્તાઓ ખુલ્લા રાખવા પડશે.
પ્લાસ્ટિક પર પ્રતિબંધ: મંડપમાં પ્લાસ્ટિકની બોટલ કે કપનો ઉપયોગ કરી શકાશે નહીં. માત્ર બાયો-ડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ કપનો જ ઉપયોગ કરી શકાશે.
સલામતી સાધનો: દરેક 100 ચોરસ મીટરના એરિયામાં ઓછામાં ઓછા 2 ABC પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશર, CO2 ટાઈપ એક્સ્ટિંગ્યુશર, 5 પાણી ભરેલા ડ્રમ અને 4 ફાયર સેન્ડ બકેટ રાખવાના રહેશે. આ ઉપરાંત 24×7 ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ જાણનાર વ્યક્તિઓને Duty પર રાખવા ફરજિયાત છે.
આયોજકની જવાબદારી
જો આ નિયમોનું પાલન નહીં થાય અથવા કોઈ દુર્ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકોની રહેશે. જો GMC ને કોઈ પણ ક્ષતિ જોવા મળશે, તો તે પ્રોગ્રામ બંધ કરાવી શકે છે. આ નિયમોનો હેતુ માત્ર તહેવારને સુરક્ષિત બનાવવાનો છે, જેથી દરેક ખેલૈયા આનંદથી ગરબા રમી શકે.











