પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ 500 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો પરત

ગુજરાત પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ પહેલ હેઠળ 40,811 લાભાર્થીઓને 500 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. જાણો આ વિશેષ કાર્યક્રમની સફળતા અને તેના ઉદ્દેશો.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાત પોલીસે તાજેતરમાં એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકારની પહેલ ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ અત્યાર સુધીમાં 40,811 નાગરિકોને 500 કરોડથી વધુનો મુદ્દામાલ પાછો આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં પોલીસ દ્વારા કબજે કરાયેલા મુદ્દામાલને નિર્દોષ નાગરિકોને ઝડપથી અને સરળતાથી પરત કરી શકાય. આ માટે, પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાંથી ઓર્ડર મેળવીને ખાસ લોક દરબાર કે જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમની સફળતા અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે 2022થી શરૂ થયેલી આ પહેલ અત્યંત લોકપ્રિય બની છે. તેમણે કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં જ 112 કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો છે, જે આ પહેલની સ્પીડ અને ઈફેક્ટિવનેસ દર્શાવે છે.

આ કાર્યક્રમ માત્ર શહેરો પૂરતો સીમિત નથી. મંત્રીએ જણાવ્યું કે મોટા શહેરોથી લઈને આદિજાતિ વિસ્તારોના છેવાડાના ગામડાઓ સુધી પણ આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જેવા આદિવાસી બહુલ જિલ્લાઓમાં 2,315 નાગરિકોને 105 કરોડથી વધુનો મુદ્દામાલ પાછો મળ્યો છે. આમાં સોનગઢના એક વૃદ્ધાનું ઘર પણ સામેલ છે, જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું અને તેમને આ કાર્યક્રમ હેઠળ પરત મળ્યું.

મંત્રીએ સુરતમાં થયેલી 7.86 કરોડની લૂંટનો એક ચોક્કસ કિસ્સો પણ જણાવ્યો. આ ગુનામાં, ગુજરાત પોલીસે માત્ર 48 કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલને મૂળ માલિકોને એક અઠવાડિયામાં જ પરત અપાવ્યો હતો, જે પોલીસની ઝડપી કામગીરીનો ઉત્તમ દાખલો છે. આ કાર્યક્રમ ખરેખર ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!