રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં ગાંધીનગર જિલ્લા નિવાસી અધિક કલેકટર સહિત અધિકારીઓ જોડાયા : તાલુકા કક્ષાએથી અધિકારીઓ-કર્મચારીઓ ઓનલાઇન જોડાયા હતા

ગાંધીનગર, મંગળવાર :ગાંધીનગર જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં ગાંધીનગર જિલ્લા નિવાસી અધિક કલેકટર સહિત અધિકારીઓ જોડાયા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં ગાંધીનગર નિવાસી અધિક કલેકટર એન.આર શર્મા સહિત ગાંધીનગર જિલ્લા અને રાજયભરના અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા. મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ. શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી ઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો.
આ બેઠક અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજનની વિગત જણાવી હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, જિલ્લા શિક્ષણાધિકારી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા મુખ્ય, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત વિવિધ કચેરીના અધિકારી -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને તાલુકા કક્ષાએથી અધિકારીઓ-કર્મચારીઓ ઓનલાઇન જોડાયા હતા.











