સાપનું ઝેર હવે દવા બન્યું : હૃદયરોગથી કેન્સર સુધીનો ઉપચાર

ગુજરાત રાજ્યમાં ઝેરી અને બિનઝેરી મળી કુલ 50થી વધુ જાતિના સાપ જોવા મળે છે

સાપનું ઝેર હવે દવા બન્યું

અમદાવાદ, ગુરુવાર : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસાની સિઝન સાપ સાથે સંબંધિત ઘટનાઓ માટે ખૂબ જ સંવેદનશીલ બની રહે છે. પરંતુ આજે વાત જોખમની નહીં, આશાની પણ છે. કેમ કે જ્યાં સાપનો ડંખ ભયજનક છે, ત્યાં તેનું ઝેર હવે જીવન બચાવતી દવાનો ભવિષ્ય બની રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ઝેરી અને બિનઝેરી મળી કુલ 50થી વધુ જાતિના સાપ જોવા મળે છે. તેમાં નાગ (કોબ્રા), ફૂરસો, ખડચિતળો (રસેલ્સ વાયપર), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ) જેવા ઝેરી સાપો તેમજ અજગર, ધામણ, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપોનો સમાવેશ થાય છે.

ચોમાસાની સાથે જ ગુજરાતમાં સર્પ દંશના કેસમાં પણ વધારો થવા લાગે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 43,000થી વઘુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે. સાપ કરડવાના સૌથી વઘુ કેસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. દર વર્ષે 16 જુલાઇના ‘વિશ્વ સાપ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની ઘટનાઓમાં વધારો થાય છે. ગુજરાતમાં સાપની 50થી વઘુ પ્રજાતિ જોવા મળે છે. સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે, જે હૃદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોની સારવારમાં ખૂબ ઉપયોગી નીવડે છે. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ‘સ્નેક રિસર્ચ સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં સાપના ઝેર દ્વારા એન્ટી-વેનમ અને અન્ય દવાઓ બનાવવા માટે અનેક સંશોધન કરવામાં આવી રહ્યા છે.

સાપના સંરક્ષણ-સંવર્ધન માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેમજ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સર્પગૃહ ખાતે લાખો મુલાકાતીઓને નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપોની ઓળખ આપી અને તેમનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. સાપનું રક્ષણ કરવું એટલે પર્યાવરણનું રક્ષણ કરવું, જેને સાર્થક કરવા વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાપ બચાવ ટીમ ગોઠવવામાં આવી છે. આ ટીમ દ્વારા સાપોને સુરક્ષિત રીતે પકડીને તેમના કુદરતી આવાસમાં મુક્ત-છોડી મૂકવામાં આવે છે.

વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા 1 વર્ષમાં 492 જેટલા સાપનું રેસ્ક્યુ
વન વિભાગ સંચાલિત વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર થકી અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન 1 જુલાઈ, 2024 થી 30 જૂન, 2025 સુધીમાં અંદાજે 492 જેટલા સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી કરવામાં આવી છે. સરીસૃપ વર્ગમાં આવતા સાપની વિશ્વભરમાં લગભગ 3000થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. સાપ મુખ્યત્વે ઝેરી અને બિનઝેરી એમ બે પ્રકારના હોય છે.

ગુજરાતમાં જોવા મળતાં ઝેરી સાપને કેવી રીતે ઓળખવા?
નાગ: કોબ્રા
આ સૌથી ઝેરી સાપમાંથી એક છે. કોબ્રાનો રંગ કાળો તથા ઘેરા બદામી રંગ સુધીના વિવિધ રંગોમાં જોવા મળે છે. તે જ્યારે ફેણ ફૂલાવે ત્યારે ફેણમાં ચશ્મા અથવા ત્રિશુળ જેવો આકાર જોવા મળે છે. ઘણી વખત આવો આકાર જોવા ન મળે અને માત્ર ફેણ જ ચડાવેલો સાપ હોય તો તે પણ કોબ્રા અથવા નાગ જ હોય છે.

ફૂરસો: સો-સ્કેલ્ડ વાઇપર
આ ઝેરી સાપ ભારત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેનો રંગ ભૂરો, આછો પીળો કે રેતી જેવો હોય છે. પીઠની બન્ને બાજુ નિસ્તેજ સફેદ રેખા હોય છે. આ સાપનું કદ ટૂંકું હોય છે, પરંતુ તેનું ઝેર ખતરનાક હોય છે.

ખડચિતળો: રસેલ્સ વાઇપર
આ સાપ અજગર જેવો દેખાય છે. તેથી ઘણા લોકોને જેના વિશે ગેરસમજ થાય છે. તેના શરીર પર ત્રણ સમાંતર સાંકળ જેવી રેખાઓ હોય છે અને તેનું મોં દેડકા જેવું હોય છે. તેના ફૂંફાડાનો અવાજ મરઘીના બચ્ચાના અવાજ જેવો હોય છે. આ સાપનું ઝેર પણ જોખમી.

કાળોતરો: ઇન્ડિયન ક્રેટ
ક્રેટની કેટલીક પેટા જાતિઓ પણ છે. એ પૈકીની ત્રણ ભારતમાં જોવા મળે છે. તેમાં સાદા ક્રેટ, પટ્ટાવાળા ક્રેટ અને કાળા ક્રેટનો સમાવેશ થાય છે. આ પ્રકારની સાપની લંબાઈ દોઢ મીટર સુધીની હોય છે. તેના માથાથી પૂંછડી સુધીમાં ભીંગડાંની સંખ્યા ઉત્તરોતર ઘટતી જતી હોય છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!