શું તમે પણ ડ્રાય ફ્રૂટ્સના શોખીન છો? તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ટૂંક સમયમાં ડ્રાય ફ્રૂટ્સ મોંઘા થઈ શકે છે. ચાલો જાણીએ આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે.

ભારતમાં ડ્રાય ફ્રૂટ્સની સૌથી વધુ આયાત ઈરાન અને અફઘાનિસ્તાનથી થાય છે. પિસ્તા, ખજૂર અને કિસમિસ જેવી પ્રોડક્ટ્સની ભારતમાં દર વર્ષે ખૂબ માંગ રહે છે. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે, તેને જોતા આ ડ્રાય ફ્રૂટ્સના ભાવ આસમાને પહોંચી શકે છે.
જાણો શું છે યુદ્ધની અસર
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે વિશ્વભરના બજારો પર દેખાઈ રહી છે. ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો અને તેના જવાબમાં ઈરાને પણ મિસાઈલો છોડી. આ યુદ્ધની પરિસ્થિતિની સૌથી મોટી અસર ડ્રાય ફ્રૂટ્સના ભાવ પર પડી શકે છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે ભારત સહિત ઘણા દેશોમાં ડ્રાય ફ્રૂટ્સ અને બદામના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. અગાઉ પાકિસ્તાન દ્વારા આયાત પર પ્રતિબંધ અને અફઘાનિસ્તાન તેમજ ઈરાનથી સપ્લાયમાં મુશ્કેલીઓના કારણે ભાવમાં 15%થી 100% સુધીનો વધારો જોવા મળ્યો હતો. હવે આ યુદ્ધના કારણે વેપારીઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
ભારત ઈરાન અને અફઘાનિસ્તાન પર નિર્ભર
ભારત પોતાની ડ્રાય ફ્રૂટ્સની જરૂરિયાત માટે મોટે ભાગે ઈરાન અને અફઘાનિસ્તાન પર આધાર રાખે છે. રમઝાન અને તહેવારોની સીઝનમાં તો આ ડ્રાય ફ્રૂટ્સની માંગ ખૂબ જ વધી જાય છે.
કઈ કઈ પ્રોડક્ટ્સ થશે મોંઘી ?
મુખ્યત્વે પિસ્તા, ખજૂર અને કિસમિસ જેવી પ્રોડક્ટ્સની આયાત આ દેશોમાંથી વધુ પ્રમાણમાં થાય છે. ઈરાનની મજફતી અને પિયારોમ જેવી ખજૂરની જાતો ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેનું મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે.
ભાવ વધારાનું મુખ્ય કારણ
ટ્રેડ ઇકોનોમી વેબસાઇટના ડેટા અનુસાર, ભારત દર વર્ષે અંદાજે $1.47 બિલિયનના ડ્રાય ફ્રૂટ્સ અને બદામની આયાત કરે છે. જેમાં ઈરાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા મુખ્ય સપ્લાયર્સ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ઈરાનથી આવતો સપ્લાય ખોરવાઈ શકે છે. જેના પરિણામે ભારતમાં આ ડ્રાય ફ્રૂટ્સની ઉપલબ્ધતા ઘટશે અને સ્વાભાવિક રીતે જ તેના ભાવમાં વધારો થશે.











