રાયપુર કેનાલ નજીક ડાયવર્ઝન આપીને શરૂ કરાયેલ ઝાક જલુન્દ્રા નર્મદા કેનાલના બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોને લઈને જોખમ ઊભું થયું છે

ગાંધીનગર,શુક્રવાર: રાયપુર કેનાલ નજીક ડાયવર્ઝન આપીને શરૂ કરાયેલ ઝાક જલુન્દ્રા નર્મદા કેનાલના બ્રિજ (સાંકળ 218.032) પરથી પસાર થતાં ભારે વાહનોને લઈને ગંભીર જોખમ ઊભું થયું છે. આ મામલે મોટા જલુન્દ્રાના માજી સરપંચ રોહિત પટેલે આક્ષેપો કર્યા છે અને આજે લેખિતમાં ધારાસભ્ય, મામલતદાર તથા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.
નોંધનીય છે કે રોહિત પટેલે તાત્કાલિક ધોરણે આ બ્રિજ પરથી ભારે વાહનો સહિતનો ટ્રાફિક બંધ કરવાની માંગ કરી છે. સાથે જ, બ્રિજની તાત્કાલિક મરામતની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો આ બ્રિજ પર કોઈ અકસ્માત થાય કે બ્રિજ તૂટી જાય તો નર્મદા કેનાલ તંત્ર જવાબદારી લેશે કે નહીં? સ્થાનિક વાહનચાલકો અને લોકોમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે, અને તંત્રની ઉદાસીનતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.











