આ દુખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા છવાઈ ગઈ : જોકે, પરિવારે આ પગલું કેમ લીધું તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી

અમદાવાદ, રવિવાર : અમદાવાદ નજીક બગોદરા ગામે એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો – પતિ, પત્ની અને ત્રણ નિર્દોષ બાળકોએ એકસાથે ઝેરી દવા પીધી હતી. આ દુખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા છવાઈ ગઈ છે. પોલીસે ઘરમાં તલાશી હાથ ધરી છે, જો કે કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. આસપાસના રહીશો અને સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેથી આપઘાત પાછળનો સાચો પડઘમ જાણી શકાય.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકોમાં વિપુલ વાઘેલા (પિતા), તેમની પત્ની સોનલ વાઘેલા તથા તેમની ત્રણ સંતાન – 11 વર્ષની સિમરન, 8 વર્ષનો મયુર અને 5 વર્ષની પ્રિન્સીનો સમાવેશ થાય છે. મૂળ ધોળકાના બોરકોઠાના વતની, આ પરિવાર હાલ બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યાં વિપુલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હજુ સુધી આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ઘટના જાણતાજ પોલીસ સહિત એસઓજી, એફએસએલ અને ધંધુકા એસપીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.










