એક નવા રિપોર્ટ મુજબ, દિલ્હીના પ્રદૂષિત વાતાવરણને કારણે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ લાલ કિલ્લાની સુંદરતા ઝાંખી પડી રહી છે. જાણો આ અભ્યાસમાં શું ચોંકાવનારો ખુલાસો થયો છે અને કેવી રીતે પ્રદૂષણ આપણા ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

નવી દિલ્હી, બુધવાર
ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘણી જૂની છે, પરંતુ હવે તેના કારણે એક નવો અને ગંભીર મુદ્દો સામે આવ્યો છે. UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ લાલ કિલ્લો, જે તેના લાલ રેતીના પથ્થર માટે જાણીતો છે, તે હવે કાળો પડી રહ્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક સ્ટડીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
નવા રિપોર્ટમાં શું બહાર આવ્યું?
15 સપ્ટેમ્બર, 2025ના રોજ રજૂ થયેલા એક નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દિલ્હીની ખરાબ હવાને કારણે લાલ કિલ્લાની દીવાલો પર કાળા પોપડા જામી રહ્યા છે. “Characterization of Red Sandstone and Black Crust…” નામના આ રિપોર્ટ મુજબ, વાયુ પ્રદૂષણ આ ઐતિહાસિક મૉન્યુમેન્ટને ગંભીર રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. આ રિપોર્ટ ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ઇટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી તૈયાર થયો છે, જેમાં IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી યુનિવર્સિટી (વેનિસ) અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.
આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ કિલ્લાના અલગ-અલગ ભાગોમાંથી પથ્થર અને કાળા પોપડાના સેમ્પલ લીધા. લેબોરેટરી ટેસ્ટમાં સામે આવ્યું કે PM2.5, PM10 અને NO2 જેવા પ્રદૂષકોનું સ્તર રાષ્ટ્રીય ધોરણો કરતાં 2.5 ગણું વધારે છે. આ પ્રદૂષણના કારણે કિલ્લાની દીવાલો પર 0.05 mm થી 0.5 mm જાડા કાળા પડ જામી રહ્યા છે.
પ્રદૂષણ અને કિલ્લાને નુકસાન
લાલ કિલ્લાની દીવાલો લાલ રેતીના પથ્થરથી બનેલી છે, જેમાં મુખ્યત્વે સિલિકા અને આયર્ન ઓક્સાઈડ હોય છે, જેના કારણે તેને લાલ રંગ મળે છે. પરંતુ પ્રદૂષણ આ પથ્થરને નુકસાન પહોંચાડી રહ્યું છે. રિપોર્ટ મુજબ, આ કાળા પોપડામાં ટાઇટેનિયમ, નિકલ, કોપર, ઝીંક, બેરિયમ અને લેડ જેવી હેવી મેટલ્સ વધારે પ્રમાણમાં જોવા મળી છે. આ મેટલ્સ કન્સ્ટ્રકશન એક્ટિવિટી, રસ્તાની ધૂળ અને ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડામાંથી આવે છે, અને આના કારણે જ પથ્થરની સપાટી પર કાળાશ જામી રહી છે.
વૈજ્ઞાનિકોના મતે, આ પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થતા નુકસાન પરનો આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે અને શિયાળામાં અહીં ધુમ્મસના કારણે PMનું સ્તર 10 ગણું વધી જાય છે. આ સ્થિતિ લાલ કિલ્લા જેવા ઐતિહાસિક મૉન્યુમેન્ટ માટે મોટો ખતરો બની રહી છે.
અગાઉ, 2018માં ASIએ કિલ્લા પરથી 2 m જાડું કાળું પડ દૂર કર્યું હતું, પરંતુ જ્યાં સુધી પ્રદૂષણની સમસ્યા હલ નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યા ચાલુ જ રહેશે. આ રિપોર્ટ શહેરી પ્રદૂષણની ગંભીર અસરો તરફ ધ્યાન દોરે છે અને દર્શાવે છે કે આપણા ઐતિહાસિક વારસાને બચાવવા માટે વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવું કેટલું જરૂરી છે.











