ભારતીય રેલવેએ ઓક્ટોબરથી જનરલ ટિકિટ બુકિંગ માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે IRCTC પર ટિકિટ બુક કરતા પહેલા આધાર વેરિફિકેશન કરવું ફરજિયાત બન્યું છે. જાણો આ નવા ફેરફાર વિશેની સંપૂર્ણ માહિતી અને તેનાથી મુસાફરોને શું ફાયદો થશે.

અમદાવાદ, બુધવાર
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા અને અનધિકૃત એજન્ટોના ગેરલાભને અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ઓક્ટોબર 2025થી ઓનલાઈન જનરલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવો નિયમ તાત્કાલ ટિકિટ બુકિંગની જેમ જ લાગુ થશે, જેનાથી ખરેખર જરૂરિયાતમંદ મુસાફરોને કન્ફર્મ્ડ ટિકિટ મળી રહેશે.
કેમ લેવાયો આ નિર્ણય?
રેલવે મંત્રાલયે આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો છે. સામાન્ય રીતે ટિકિટ બુકિંગ શરૂ થતાં જ તરત જ બધી ટિકિટો બુક થઈ જતી હોય છે. જેના કારણે સામાન્ય મુસાફરોને ટિકિટ મળવામાં મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિનો લાભ ઘણા એજન્ટો ખોટી રીતે ટિકિટો બુક કરીને લેતા હતા. આ નવા નિયમથી ટિકિટ માત્ર એ જ વ્યક્તિ બુક કરી શકશે જેનો આધાર નંબર રજિસ્ટર્ડ છે, જેનાથી એજન્ટોની મનમાની બંધ થશે અને ટિકિટનો ગેરલાભ અટકાવી શકાશે.
કેવી રીતે કામ કરશે નવો નિયમ?
નવા નિયમ મુજબ, IRCTC દ્વારા જનરલ ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન વિન્ડો ખુલવાના 15 મિનિટ પહેલા આધાર વેરિફિકેશન કરવું જરૂરી છે. જો તમારું IRCTC એકાઉન્ટ પહેલેથી જ આધાર સાથે લિંક હશે, તો આ પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. આનાથી તમારી ટિકિટ જલ્દી બુક થશે અને કન્ફર્મ થવાની શક્યતા પણ વધી જશે.
જો આધાર લિંક ન હોય તો શું કરવું?
જો તમે હજુ સુધી તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી કર્યું, તો તે કરવું હવે ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે IRCTCની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર લોગ-ઈન કરીને “My Profile” સેક્શનમાં જઈને આધારની વિગતો ઉમેરવાની રહેશે. અહીં ખાસ ધ્યાન રાખવું કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ, કારણ કે વેરિફિકેશન માટે OTP (One-Time Password) તે જ નંબર પર આવશે.
જૂના નિયમો યથાવત
આ નવા ફેરફાર સિવાય, ભારતીય રેલવેના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS (Passenger Reservation System) કાઉન્ટર પર ટિકિટ બુકિંગ માટેની હાલની સમયમર્યાદા યથાવત રહેશે. આ ઉપરાંત, રજિસ્ટર્ડ રેલવે ટિકિટ એજન્ટો દ્વારા પહેલા દિવસે ટિકિટ બુકિંગ માટેનો 10 મિનિટનો પ્રતિબંધ પણ લાગુ રહેશે.











