આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ના તાજેતરના રિપોર્ટ મુજબ, વિશ્વના તેલ અને ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે. જાણો આ સ્થિતિ ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે કેટલી ગંભીર છે અને શું ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

નવી દિલ્હી, ગુરૂવાર
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ તાજેતરમાં વિશ્વના 15,000 થી વધુ તેલ અને ગેસ ક્ષેત્રોના ડેટાનું વિશ્લેષણ કરીને એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં IEA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વૈશ્વિક તેલ અને ગેસના ભંડાર ઝડપથી સમાપ્ત થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ઊર્જા સુરક્ષા અને ભાવો પર ગંભીર અસર કરી શકે છે. ભારત જેવા દેશો માટે આ સ્થિતિ ખાસ ચિંતાનો વિષય છે, કારણ કે ભારત તેની ઊર્જા જરૂરિયાતના મોટા ભાગ માટે આયાત પર નિર્ભર છે.
રોકાણના અભાવે ઉત્પાદન ઘટશે
IEA ના રિપોર્ટ “તેલ અને ગેસ ક્ષેત્રોના ઘટાડાના પ્રભાવ” મુજબ, તેલ અને ગેસ ઉદ્યોગમાં વાર્ષિક રોકાણનો લગભગ 90% હિસ્સો ફક્ત હાલના ક્ષેત્રોના કુદરતી ઘટાડાને રોકવા માટે જ ખર્ચાઈ રહ્યો છે. જો નવા ક્ષેત્રોમાં રોકાણ નહીં થાય, તો વૈશ્વિક તેલનું ઉત્પાદન દર વર્ષે પ્રતિ દિવસ 5.5 મિલિયન બેરલ અને કુદરતી ગેસનું ઉત્પાદન 270 બિલિયન ક્યુબિક મીટર ઘટી જશે. આ ઘટાડો 2010ની સરખામણીમાં 4 મિલિયન બેરલ પ્રતિ દિવસથી પણ વધુ છે, જે એક ગંભીર સંકેત છે.
ભારત માટે વધતી મુશ્કેલીઓ
ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઈલ અને 45% ગેસ આયાત કરે છે. વૈશ્વિક ભંડારમાં આ ઝડપી ઘટાડો ભારતના ઊર્જા પુરવઠામાં અવરોધ અને ભાવ વધારાનું જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને શેલ અને ડીપ સી જેવા સ્રોતોમાં ઝડપી ઘટાડો આ ખતરાને વધુ ગંભીર બનાવે છે. આના કારણે ભારતીય અર્થતંત્ર પર પણ નકારાત્મક અસર થઈ શકે છે.
IEAના સૂચનો અને આગળનો રસ્તો
આ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે IEA એ ભારતને કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. IEA એ કહ્યું છે કે ભારતે કોઈ એક દેશ પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને તેલ-ગેસના સંશોધનને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત, ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે તેલનો સંગ્રહ વધારવો અને ગ્રીન હાઈડ્રોજન તથા બાયોફ્યુઅલ જેવા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ જરૂરી છે.
જો હાલના ઉત્પાદન સ્તરને જાળવી રાખવું હોય, તો IEA નો અંદાજ છે કે 2050 સુધીમાં નવા ક્ષેત્રોમાંથી 45 મિલિયન બેરલ તેલ અને 2,000 બિલિયન ક્યુબિક મીટર ગેસની જરૂર પડશે. જો આ દિશામાં સમયસર રોકાણ અને સંશોધન નહીં થાય, તો 2030 અને 2040 ના દાયકામાં ઊર્જા સુરક્ષા પર ગંભીર સંકટ આવી શકે છે.











