ગુજરાતમાં ‘ડબલ’ વરસાદી સિસ્ટમ એક્ટિવ: ઑક્ટોબર 1 સુધી ભારે વરસાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘યલો એલર્ટ’

ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં 1 ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. જાણો વેધર ડિપાર્ટમેન્ટની લેટેસ્ટ આગાહી અને આ વર્ષે થયેલા વરસાદની વિગતો.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ભલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી હોય, પણ હાલમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે રાજ્યમાં ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

વેધર ડિપાર્ટમેન્ટની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બંને સિસ્ટમની અસરને પગલે 1 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહી શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં ક્યાં છે ભારે વરસાદની શક્યતા?
દક્ષિણ ગુજરાત: આગામી 48 કલાક બાદ અહીં ભારે વરસાદ પડવાનું એનાલિસિસ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ: હવામાન વિભાગે 28 થી 30 સપ્ટેમ્બર માટે અહીં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

માછીમારો માટે સ્પેશિયલ એલર્ટ
ભારે વરસાદના અનુમાનને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના માછીમારો માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારના માછીમારોને 27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ સિઝનનો વરસાદી ડેટા
વરસાદની આગાહી વચ્ચે એક રાહતની વાત એ છે કે આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના ડેટા મુજબ, આ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ નોંધાયો છે. 18 સપ્ટેમ્બર, 2025 ની સ્થિતિએ પ્રદેશવાર વરસાદ જોઈએ તો:

કચ્છ: 135 ટકા (સૌથી વધુ)

ઉત્તર ગુજરાત: 118 ટકા
દક્ષિણ ગુજરાત: 112 ટકા
પૂર્વ-મધ્ય ગુજરાત: 110 ટકા
સૌરાષ્ટ્ર: 93 ટકા

અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમના મતે, 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ આગાહીમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન પલટાઈને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!