ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના કરિયર વિશે ભલે ગમે તેટલા સવાલો ઉઠ્યા હોય, પરંતુ તેણે 3 મેચની સિરીઝમાં સાબિત કરી દીધું કે તે હજી પણ લાંબી ઇનિંગ્સ રમી શકે છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના કરિયર વિશે ભલે ગમે તેટલા સવાલો ઉઠ્યા હોય, પરંતુ તેણે 3 મેચની સિરીઝમાં સાબિત કરી દીધું કે તે હજી પણ લાંબી ઇનિંગ્સ રમી શકે છે. સિડનીમાં રમાયેલી છેલ્લી મેચમાં રોહિતે માત્ર શાનદાર સદી જ ન ફટકારી, પરંતુ તેણે આ સિરીઝમાં પણ સૌથી વધુ રન બનાવ્યા. તેનું આ પ્રદર્શન એટલા માટે પણ મહત્વનું હતું કારણ કે રોહિતે લાંબા બ્રેક પછી આવું પ્રદર્શન કર્યું હતું. આ બ્રેકે રોહિતને માત્ર પોતાના પર કામ કરવાની તક જ ન આપી, પણ ઘણી મહત્વપૂર્ણ બાબતોનો અહેસાસ પણ કરાવ્યો.
ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રોહિત શર્માએ 121 રનની અણનમ સદીની ઇનિંગ્સ રમી. રોહિતે વિરાટ કોહલી સાથે મળીને 168 રનની ભાગીદારી કરી અને ટીમને 9 વિકેટે જીત અપાવી. આ મેચ સાથે રોહિત 202 રન સાથે સિરીઝનો શ્રેષ્ઠ ખેલાડી પણ પસંદ થયો. સાડા સાત મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી શાનદાર વાપસી કરીને રોહિતે તેના ચાહકોને ખુશ કર્યા. પરંતુ આ પ્રદર્શન પાછળની મહેનત માત્ર પૂર્વ કેપ્ટન જ સારી રીતે સમજી શકે છે.
મેચ પછી રોહિતે BCCIને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં ક્રિકેટમાં વાપસી વિશે પોતાના દિલની વાત રજૂ કરી. લાંબા બ્રેક વિશે વાત કરતા રોહિતે કહ્યું કે તેને ક્યારેય તૈયારી માટે 4-5 મહિનાનો સમય મળ્યો નહોતો. રોહિતે કહ્યું, “હું તેનો યોગ્ય ઉપયોગ કરવા માંગતો હતો. મારી શરતો પર અને મારી શૈલીમાં તૈયારી કરવા માંગતો હતો અને તે મારા માટે સારું સાબિત થયું. મને સમજાયું કે મારા કરિયરમાં આગળ શું કરવાનું છે. મેં સારી રીતે તૈયારી કરી હતી.”











