મસ્કે એવો પણ દાવો કર્યો કે જો તેમને ક્યારેય એલિયન હોવાના પુરાવા મળશે, તો તેઓ તેને સીધા દુનિયાની સામે જાહેર કરશે.

અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં છે. એક પોડકાસ્ટ દરમિયાન રહસ્યમય આંતરતારકીય ધૂમકેતુ અને અવકાશમાં એલિયન (Alien) હોવા કે ન હોવાના સિદ્ધાંતો પર વાત કરતાં મસ્કે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ક્યારેય આત્મહત્યા નહીં કરે. મસ્કે એવો પણ દાવો કર્યો કે જો તેમને ક્યારેય એલિયન હોવાના પુરાવા મળશે, તો તેઓ તેને સીધા દુનિયાની સામે જાહેર કરશે.
અમેરિકન પોડકાસ્ટર જો રોગન સાથેની વાતચીત દરમિયાન, ટેસ્લાના CEOએ અવકાશમાં એલિયન હોવાના દાવાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. આ અંગે એલન મસ્કે કહ્યું, “મારો કહેવાનો અર્થ એ છે કે, એક વાત હું કહી શકું છું, જુઓ, જો મને એલિયન્સના કોઈ પણ પુરાવા વિશે ખબર પડશે, તો હું તમારા શોમાં આવીશ અને શોમાં જ તેનો ખુલાસો કરીશ.”
ત્યારબાદ મસ્કે સ્મિત સાથે કહ્યું, “અને હું આ વાત પણ સ્પષ્ટપણે કહી રહ્યો છું, હું ક્યારેય આત્મહત્યા નહીં કરું. તેથી, કેમેરા માટે પણ કહી દઉં છું કે હું ક્યારેય આત્મહત્યા નહીં કરું. હું રેકોર્ડ માટે આ વસ્તુ સ્પષ્ટ કરી દઉં છું.”
બયાન પાછળનું કારણ:
નોંધનીય છે કે મસ્કનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચાલતી તે થિયરીને લઈને હતું, જેમાં એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને એલિયન્સ વિશેની માહિતી મળે છે, અથવા તે તેને શોધવાનો પ્રયાસ કરે છે, તો રહસ્યમય રીતે તેની હત્યા કરી દેવામાં આવે છે.
ધૂમકેતુ ‘3I/ATLAS’ની ચર્ચા:
એલન મસ્ક અને જો રોગન જે ધૂમકેતુ ‘3I/ATLAS’ વિશે વાત કરી રહ્યા હતા, તે એક આંતરતારકીય ધૂમકેતુ હતો. એટલે કે તે આપણા સૌરમંડળનો ભાગ નહોતો, પરંતુ બહારના અવકાશમાંથી આવ્યો હતો. તેના અસામાન્ય માર્ગ અને રાસાયણિક સંરચનાને કારણે તેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે તેનું વિચિત્ર વર્તન કૃત્રિમ (Artificial) અથવા એલિયન મૂળ તરફ સંકેત આપે છે.











