વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને બંકિમ દા કહેવા પર પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને બંગાળી સંસ્કૃતિનું અપમાન ગણાવીને PM પાસે રાષ્ટ્રીય માફીની માંગ કરી છે.

નવી દિલ્હી, બુધવાર
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભાષા અને સંસ્કૃતિને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાષ્ટ્રગીત વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે PM મોદી પાસે આ માટે રાષ્ટ્રની માફી માંગવાની માંગ કરી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
ક્યાંથી શરૂ થયો આ વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત સોમવારે લોકસભામાં થઈ હતી. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર એક વિશેષ ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ઉલ્લેખ બંકિમ દા તરીકે કર્યો. દા શબ્દ બંગાળી ભાષામાં મોટા ભાઈ માટે વપરાય છે અને તે એક સામાન્ય સંબોધન છે. જોકે, TMC સાંસદ સૌગત રોયે તરત જ આ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. તેમણે વડાપ્રધાનને વિનંતી કરી કે તેઓ આદરપૂર્વક બંકિમ બાબુ શબ્દનો પ્રયોગ કરે.
વડાપ્રધાન મોદીએ તરત જ સૌગત રોયની ભાવનાનું સન્માન કર્યું અને કહ્યું, “હું બંકિમ બાબુ જ કહીશ. હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું.” તેમણે હળવાશમાં એમ પણ પૂછ્યું કે શું તેઓ હવે સૌગત રોયને દાદા કહી શકે છે.
મમતા બેનર્જીનો આકરો વિરોધ
લોકસભામાં મામલો શાંતિથી ઉકેલાઈ ગયો હોવા છતાં, મમતા બેનર્જીએ તેને એક મોટો મુદ્દો બનાવ્યો. કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું “વડાપ્રધાનનો જન્મ પણ નહોતો થયો જ્યારે દેશને આઝાદી મળી. તેમ છતાં તેમણે બંગાળના સૌથી મોટા સાંસ્કૃતિક પ્રતીકને આટલા સામાન્ય રીતે સંબોધ્યા. PM મોદીએ તેમને ન્યૂનતમ સન્માન પણ ન આપ્યું. આ અપમાન માટે તેમણે સમગ્ર રાષ્ટ્રની માફી માંગવી જોઈએ.” આ સાથે જ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, બંગાળને કેન્દ્રની કોઈ મદદની જરૂર નથી અને રાજ્ય સરકાર પોતાની યોજનાઓ જાતે જ ચલાવી રહી છે.
ભાજપ પર સંસ્કૃતિ નષ્ટ કરવાનો આરોપ
મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો કે જો ભાજપ બંગાળમાં સત્તામાં આવશે, તો તે રાજ્યની ભાષા, સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરી દેશે.
TMC સાંસદોનું સંસદમાં મૌન પ્રદર્શન
આ ઘટનાના વિરોધમાં, TMC સાંસદોએ સંસદના સેન્ટ્રલ હોલમાં મૌન પ્રદર્શન કર્યું. તેમણે હાથમાં રવીન્દ્રનાથ ટાગોર અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની તસવીરો રાખીને વિરોધ નોંધાવ્યો અને આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળના મહાપુરુષોનું અપમાન કરી રહ્યું છે.











