યુદ્ધવિરામની છેલ્લી ઘડીએ ઈઝરાયલનો પ્રચંડ પ્રહાર, 150 આતંકીઓનો ખાતમો અને 300 સૈન્ય ઠેકાણાઓ કર્યા ધ્વસ્ત

ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થાય તે પહેલા IDFએ લેબેનોનમાં ભારે તબાહી મચાવી છે. માત્ર 24 કલાકમાં 150 થી વધુ આતંકીઓ અને 300 થી વધુ ઠેકાણાઓ નષ્ટ કર્યા છે.

ઈઝરાયલ, સોમવાર
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ શાંતિ સમજૂતી લાગુ થાય તેના ઠીક 24 કલાક પહેલા ઈઝરાયલી સેના (IDF) એ લેબેનોનમાં ભારે આક્રમકતા બતાવી હતી. ઈઝરાયલે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલા તેમણે હિઝબુલ્લાના ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી હતી.

છેલ્લા 24 કલાકમાં હિઝબુલ્લાને મોટું નુકસાન
ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે, યુદ્ધવિરામની સમજૂતી શરૂ થવાના 24 કલાક પહેલા તેમણે એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આ કાર્યવાહીમાં હિઝબુલ્લાના 150 થી વધુ ખૂંખાર આતંકવાદીઓ અને કમાન્ડોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સેનાએ હિઝબુલ્લાના 300 થી વધુ સૈન્ય અડ્ડાઓને પણ નિશાન બનાવીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.

ટોપ કમાન્ડર અલી રિદા અબ્બાસનો ખાતમો
આ સૈન્ય કાર્યવાહીમાં ઈઝરાયલને મોટી સફળતા મળી છે. દક્ષિણી લેબેનોનના બિંત જ્બીલ વિસ્તારમાં કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાના ટોપ કમાન્ડર અલી રિદા અબ્બાસને ઠાર કરવામાં આવ્યો છે. અબ્બાસ ઈઝરાયલી સૈનિકો પર કરવામાં આવતા અનેક ઘાતક હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો અને લાંબા સમયથી ઈઝરાયલની હિટલિસ્ટમાં હતો.

યુદ્ધવિરામ પહેલા કેમ કરાયો આ હુમલો?
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે 16-17 એપ્રિલની મધ્યરાત્રિથી 10 દિવસનો યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ આ સમજૂતી શક્ય બની છે. જોકે, ઈઝરાયલી સેનાનો મુખ્ય હેતુ યુદ્ધવિરામ પહેલા હિઝબુલ્લાની શક્તિને નબળી પાડવાનો હતો. IDF મુજબ, તેમણે હિઝબુલ્લાના નીચે મુજબના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા:

* રોકેટ લોન્ચર અને ડ્રોન સેન્ટર્સ
* એન્ટી-ટેન્ક મિસાઈલ પોઈન્ટ્સ
* હિઝબુલ્લાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરો
* શસ્ત્રોના ગોડાઉન

બિંત જ્બીલ વિસ્તારમાં ભારે સંઘર્ષ
દક્ષિણી લેબેનોનનો બિંત જ્બીલ વિસ્તાર હિઝબુલ્લાનો સૌથી મજબૂત ગઢ ગણાય છે. છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં ઈઝરાયલી સેના અને હિઝબુલ્લાના લડવૈયાઓ વચ્ચે સામસામે ગોળીબાર થઈ રહ્યો હતો. ઈઝરાયલે આ વિસ્તારમાં કરેલા સર્જિકલ સ્ટ્રાઈક જેવા હુમલાઓથી આતંકી સંગઠનને આર્થિક અને સૈન્ય રીતે મોટો ફટકો પડ્યો છે.

ઈઝરાયલે યુદ્ધવિરામ પહેલા જે રીતે લેબેનોનમાં ઓપરેશન ચલાવ્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. ભલે 10 દિવસ માટે યુદ્ધવિરામ લાગુ થયો હોય, પરંતુ ઈઝરાયલે આતંકીઓના મુખ્ય નેટવર્કને તોડી પાડીને એક મોટો સંદેશ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ શાંતિ કેટલો સમય ટકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!