રાજસ્થાનના ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર સામે નીલગાય આવતાં બનાસકાંઠાના ચૌધરી પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત, 3 ઈજાગ્રસ્ત

રાજસ્થાનના ભારતમાલા હાઈવે પર રણુજાથી પરત ફરતા બનાસકાંઠાના થાવર ગામના ચૌધરી પરિવારની કાર પલટી. નીલગાય બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત. સંપૂર્ણ સમાચાર વાંચો.

બનાસકાંઠા, રવિવાર
રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના થાવર ગામનો ચૌધરી પરિવાર રાજસ્થાનમાં રણુજા ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેમની કાર અકસ્માતનો શિકાર બની હતી. આ ગોઝારા અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક બાળક સહિત અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના ભક્તો દર્શન કરી ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન આસોતરા પાસે ભારતમાલા હાઈવે પર તેમની કાર સામે અચાનક જ એક નીલગાય દોડી આવી હતી. કાર ચાલકે નીલગાયને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ સમયે કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્પીડમાં રહેલી કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને 3 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો.

બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી
આ ઘટનાની જાણ થતાં જ હાઈવે ઓથોરીટી અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત વધુ ગંભીર જણાતા વિશેષ સારવાર માટે તેમને જોધપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર અને ઈજાગ્રસ્ત લોકોની વિગતો નીચે મુજબ છે:
મૃતકોના નામ:
અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉંમર 35 વર્ષ)
હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉંમર 32 વર્ષ)
યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉંમર 18 વર્ષ)
ઈજાગ્રસ્તોની યાદી:

અશોક ચૌધરી (ઉંમર 26 વર્ષ)
કમલેશ ચૌધરી (ઉંમર 30 વર્ષ)
આયુષ ચૌધરી (ઉંમર 8 વર્ષ)

એક તરફ પરિવારજનો ખુશીથી ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાળ બનીને આવેલી નીલગાયે પરિવારનો માળો વિંખી નાખ્યો છે. આ કરુણ ઘટનાના સમાચાર થાવર ગામ અને સમગ્ર બનાસકાંઠા પંથકમાં પહોંચતા જ ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલમાં ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!