ભારતે નેધરલેન્ડ્સમાં લઘુમતી અધિકારો અને મીડિયાની આઝાદી અંગેના આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે આંકડાઓ સાથે આપ્યો જડબાતોડ જવાબ.

નવી દિલ્હી, સોમવાર
ભારતે દેશમાં મીડિયાની આઝાદી અને લઘુમતીઓના અધિકારો નબળા પડી રહ્યા હોવાના તમામ વિદેશી આક્ષેપોને આકરા શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કર્યું છે કે તે વિશ્વનો સૌથી મોટો અને જીવંત લોકશાહી દેશ છે. અહીંના બંધારણે દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની અને અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી આપેલી છે.
આ જડબાતોડ જવાબ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન, નેધરલેન્ડ્સના પીએમ રૉબ જેટેન દ્વારા ભારતમાં આઝાદીના મુદ્દે કરાયેલી કથિત ટિપ્પણી પર ભારતે આ કડક વલણ અપનાવ્યું હતું. રાજધાની એમ્સ્ટર્ડમમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે રોકડું પરખાવ્યું હતું કે, આવા સવાલો માત્ર ભારત વિશેની અધૂરી સમજણનું જ પરિણામ છે.
ભારતની ભવ્ય સભ્યતા અને ધાર્મિક વિવિધતા
આરોપોનો જવાબ આપતી વખતે સિબી જ્યોર્જે ભારતની 1.4 અબજની વસ્તી અને 5000 વર્ષ જૂની સભ્યતાનો ગર્વ ભેર ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “ભારત તરફ જુઓ, તે કેટલું સુંદર છે. દુનિયામાં એવો કોઈ બીજો દેશ નથી જ્યાં આટલા બધા ધર્મોનો જન્મ થયો હોય. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ ભારતમાં જ જન્મ્યા છે અને આજે પણ અહીં સમાન રીતે ખીલી રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વના તમામ મોટા ધર્મોને ભારતમાં આશ્રય મળ્યો છે. ભારત કદાચ દુનિયાના એવા જૂજ દેશોમાંનો એક છે જ્યાં યહૂદી સમુદાયને ક્યારેય કોઈપણ પ્રકારના ઉત્પીડન કે અત્યાચારનો સામનો કરવો પડ્યો નથી. આ જ ભારતની અસલી સુંદરતા છે.
ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મનો પ્રાચીન ઈતિહાસ
ભારતમાં લઘુમતી ધર્મોના ઈતિહાસ વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, ખ્રિસ્તી ધર્મ યુરોપ પહોંચ્યો તે પહેલાં જ ભારતમાં આવી ચૂક્યો હતો. ઈસુ ખ્રિસ્તના પુનર્જીવિત થયા બાદ તરત જ આ ધર્મ ભારતમાં આવ્યો હતો અને આજે દેશમાં 3 કરોડથી વધુ ખ્રિસ્તીઓ વસે છે. એવી જ રીતે, ઈસ્લામ પણ પયગંબર મોહમ્મદના સમયમાં જ ભારતમાં આવી ગયો હતો અને સદીઓથી અહીં ફલી-ફૂલી રહ્યો છે.
આઝાદી સમયે લઘુમતી 11% હતા, આજે 20%થી વધુ
આંકડાઓ સાથે સચોટ વાત રજૂ કરતા સિબી જ્યોર્જે એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, “અમે દુનિયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ છીએ, પરંતુ દુનિયાની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશમાં લઘુમતીઓની વસ્તી માત્ર 11 ટકા હતી, જે આજે વધીને 20 ટકાથી વધુ થઈ ગઈ છે.” આ આંકડા જ સાબિત કરે છે કે ભારતમાં તમામ ધર્મોના લોકો સંપૂર્ણ સુરક્ષા, પ્રગતિ અને ખુશી સાથે રહે છે.
શાંતિપૂર્ણ સત્તા પરિવર્તન અને આર્થિક વિકાસ
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે, ભારતમાં કોઈપણ પ્રકારની હિંસા વિના શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થાય છે, જે આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. ભારતે પોતાના લોકશાહીના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વિના જબરદસ્ત આર્થિક પ્રગતિ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમે દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે ક્યારેય હિંસાનો સહારો નથી લીધો, પરંતુ લોકશાહી પ્રક્રિયાઓ અને નીતિઓ દ્વારા જ ગરીબી દૂર કરી છે.
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી
આ નિવેદનો પહેલાં પીએમ મોદીએ તેમના 2 દિવસીય પ્રવાસ દરમિયાન નેધરલેન્ડ્સના પીએમ રૉબ જેટેન સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ સકારાત્મક ચર્ચા બાદ બંને દેશોએ પોતાના ઐતિહાસિક સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) ના ઉચ્ચ સ્તર સુધી લઈ જવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.
આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વેપાર અને સહયોગને વધુ મજબૂત કરવા માટે અનેક મહત્ત્વના કરારો (MoUs) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત નેધરલેન્ડ્સને પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે.











