2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી TMC માં મોટો બળવો થયો છે. ડઝનબંધ સાંસદો અને ધારાસભ્યોએ NDA ને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ બંગાળ, બુધવાર
2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યંત ગંભીર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. સત્તા ગુમાવ્યા બાદ ‘દીદી’ ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ એક પછી એક સાથ છોડી રહ્યા છે અને NDA માં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
હાલમાં ઔપચારિક રીતે TMC છોડનારા ટોચના નેતાઓમાં સુષ્મિતા દેવ અને સુખેન્દુ શેખર રોયનું નામ સૌથી મોખરે છે. પરંતુ જો બળવાખોર સાંસદો અને ધારાસભ્યોની ગણતરી કરીએ, તો પાર્ટીની અંદર નારાજ નેતાઓનો આંકડો ઘણો મોટો થઈ ગયો છે.
ધારાસભ્યો અને સાંસદોમાં મોટો બળવો
આંકડાઓ પર નજર કરીએ તો, લગભગ 58 થી 59 TMC ધારાસભ્યો બળવાખોર છાવણીમાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, 16 થી 20 સાંસદોએ પોતાનું અલગ જૂથ બનાવીને કેન્દ્રની સત્તાધારી પાર્ટી NDA ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. મમતા બેનર્જીએ ડેમેજ કંટ્રોલ માટે પાર્ટીના ઘણા સંગઠનોનું વિસર્જન કરીને પુનર્ગઠન શરૂ કર્યું છે. જોકે, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના 10 થી 20 મોટા નેતાઓની વિદાય પાર્ટી માટે બહુ મોટો ફટકો છે.
એક જ સપ્તાહમાં 2 સાંસદોના રાજીનામા
બુધવારે TMC ના દિગ્ગજ નેતા સુષ્મિતા દેવે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી અને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. આ અઠવાડિયામાં રાજીનામું આપનારા તેઓ બીજા સાંસદ છે. આ પહેલાં સુખેન્દુ શેખર રોયે પણ પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, સુષ્મિતા દેવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે પણ મુલાકાત કરી છે અને તેઓ ટૂંક સમયમાં BJP માં જોડાઈ શકે છે.
TMC છોડનારા અને બળવો કરનારા નેતાઓનું લિસ્ટ:
ઋતબ્રત બેનર્જી: વિધાનસભામાં બળવાનું મુખ્ય નેતૃત્વ ઋતબ્રત બેનર્જી કરી રહ્યા છે. પાર્ટીના 80 માંથી 58 ધારાસભ્યોના સમર્થનવાળા આ બળવાખોર જૂથને વિધાનસભાના સ્પીકર રથીન્દ્ર બોસે માન્યતા આપી છે અને ઋતબ્રતને વિપક્ષના નેતા તરીકે સ્વીકારી લીધા છે.
કાકોલી ઘોષ દસ્તીદાર: સાંસદોમાં બળવાનો ચહેરો કાકોલી ઘોષ બન્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમને આશરે 20 સાંસદોનું સમર્થન છે અને તેઓ અલગ સંસદીય જૂથ તરીકે NDA ને સમર્થન આપવા માંગે છે.
સાયોની ઘોષ: 20 બળવાખોર સાંસદોમાં સાયોની ઘોષ પણ સામેલ છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ગૃહમાં અલગ બેસવા અને NDA ને ટેકો આપવાની સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે.
શાંતનુ સેન: તેમણે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે આરજી કર (RG Kar) દુષ્કર્મ અને હત્યા કેસ બાબતે પાર્ટીની આકરી ટીકા કરી હતી અને ચૂંટણીમાં હારનું કારણ પાર્ટીની ખોટી નીતિઓને ગણાવ્યું હતું.
સંદીપન સાહા: આ હાંકી કઢાયેલા ધારાસભ્યએ પાર્ટીના નેતૃત્વ પર મૂળ વિચારધારા છોડી દેવાનો અને અસંમતિના અવાજોને દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
અજમલ સિદ્દીકી: માઈનોરિટી સેલના સેક્રેટરી અજમલ સિદ્દીકીએ પણ નેતૃત્વની કામગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે.
અરૂપ ચક્રવર્તી અને સુશાંત ઘોષ: આ બંને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ના નેતાઓએ પણ અનુક્રમે એકાઉન્ટ્સ કમિટીના સભ્ય અને બોરો ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જીનો રાજકીય ગઢ ધીમે ધીમે ધરાશાયી થઈ રહ્યો છે. સાંસદોથી લઈને ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓની નારાજગી એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે TMC ના આંતરિક માળખામાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે.











