હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે, પ્રશાંત મહાસાગરના વાવાઝોડાની અસર ઘટતા 25 થી 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદનો બીજો રાઉન્ડ આવશે

ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ વરસાદ ખેંચાયો છે. ખેડૂતો અને સામાન્ય લોકો હવે વરસાદના આગામી રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે. આ અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે.
વરસાદ કેમ ખેંચાયો છે?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા ‘બાવી’ નામના શક્તિશાળી વાવાઝોડાને કારણે બંગાળની ખાડીના ભેજવાળા પવનો ત્યાં ખેંચાઈ રહ્યા છે. પરિણામે, અરબ સાગર અને બંગાળની ખાડી બંને હાલ નિષ્ક્રિય હોવાથી ચોમાસુ ધરી ઉત્તર ભારત અને હિમાલય તરફ ખસી ગઈ છે, જેથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?
પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે બે તબક્કામાં આગાહી કરી છે
-
15 થી 20 જુલાઈ: પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું શાંત પડતા જ મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ થશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત (સુરત, વલસાડ, નવસારી, ડાંગ) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
-
25 થી 31 જુલાઈ (બીજો શક્તિશાળી રાઉન્ડ): 22 થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે 25 જુલાઈથી 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે.
કયા વિસ્તારોને થશે ફાયદો?
આ બીજા રાઉન્ડમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના એવા વિસ્તારોમાં સારો વરસાદ થશે જ્યાં અત્યાર સુધી વરસાદ ઓછો પડ્યો છે.











