ખેડૂતોને અપીલ કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે, “જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદો અને બિનજરૂરી સંગ્રહખોરીથી દૂર રહો.” તેમણે એ પણ ભલામણ કરી છે કે મગફળી જેવા પાકમાં વધુ ઉત્પાદન માટે યુરિયાનો વધુ ઉપયોગ કરવાને બદલે યોગ્ય ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વહેલું અને સારું રહેતા ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર સમય કરતાં વહેલું અને મોટા પાયે કરી દીધું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 61% જેટલું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે એક મજબૂત પ્લાનિંગ તૈયાર કર્યું છે.
કેન્દ્ર સરકારની સબસિડી અને રાજ્ય સરકારની વ્યવસ્થા
કેન્દ્ર સરકારે ખેડૂતોને યોગ્ય ભાવે ખાતર મળી રહે તે માટે યુરિયા DAP અને NPK ખાતર પર મોટી સબસિડી આપી છે. ભારત સરકાર તરફથી સમયસર ખાતરનો જથ્થો ગુજરાતને ફાળવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પણ સપ્લાય પ્લાન મુજબ જિલ્લા અને તાલુકા સ્તરે ખાતરનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.
સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા કડક પગલાં
કૃષિ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, ખાતરની કોઈ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે રાજ્ય સરકાર સતત દેખરેખ રાખી રહી છે. આ કામગીરી માટે એક વિશેષ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતો માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
જરૂર પૂરતું જ ખાતર ખરીદો
ખેડૂતોને અપીલ કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે, “જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદો અને બિનજરૂરી સંગ્રહખોરીથી દૂર રહો.” તેમણે એ પણ ભલામણ કરી છે કે મગફળી જેવા પાકમાં વધુ ઉત્પાદન માટે યુરિયાનો વધુ ઉપયોગ કરવાને બદલે યોગ્ય ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. ડાંગરના પાક માટે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.











