અંબાજી ભાદરવી પૂનમ 2025માં પદયાત્રીઓ માટે 4 સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ, 1200 બેડ, નિઃશુલ્ક ભોજન અને આધુનિક સુવિધાઓ સાથે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ. 400 ડ્રોન લાઇટ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાને ખાસ બનાવશે.

અંબાજી, સોમવાર
“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રે અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનાર આ મેળામાં 30 લાખથી વધુ યાત્રાળુઓની ઉપસ્થિતિનો અંદાજ છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં 29 સમિતિઓ, મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સંયુક્ત રીતે યાત્રીઓ માટે આધુનિક સુવિધાઓનું આયોજન કર્યું છે.
પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ
આ વર્ષે પદયાત્રીઓ માટે 4 સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરાયા છે, જેમાં 1200 બેડ, શૌચાલય, CCTV, મોબાઇલ ચાર્જિંગ, હાઉસકીપિંગ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. આ ડોમ પાન્છા ખોડીયાર, કામાક્ષી મંદિર, જૂની કોલેજ અને માંગલ્ય વન પાસે આવેલા છે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ અને ટોયલેટની વ્યવસ્થા પણ છે. દર્શન માટે રેલિંગ, વ્હીલચેર અને ઈ-રિક્ષા સુવિધા ઉભી કરાઈ છે, જેથી દિવ્યાંગ, સિનિયર સિટિઝન અને ગરબાવાળા યાત્રીઓને સરળતા રહે.
નિઃશુલ્ક ભોજન અને પાર્કિંગ વ્યવસ્થા
યાત્રીઓ માટે 4 સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે, જેમાં શ્રી અંબિકા ભોજનાલય, દિવાળી બા ગુરૂભવન, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલનો સમાવેશ થાય છે. વાહનો માટે 35 પાર્કિંગ સ્થળો ઉભા કરાયા છે, જેમાં 22541 વાહનો પાર્ક થઈ શકે છે. Show My Parking એપથી ઓનલાઈન બુકિંગની સુવિધા પણ છે. પાર્કિંગથી મંદિર સુધી મફત મિની બસ સેવા ઉપલબ્ધ રહેશે.
ભવ્ય ડ્રોન લાઇટ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો
પ્રથમ વખત 400 ડ્રોન દ્વારા 3 અને 4 સપ્ટેમ્બરે રાત્રે 8:30 વાગ્યે ડ્રોન લાઇટ શો યોજાશે, જેમાં માતાજીના મંદિરની છબિ અને “જય માતાજી”નું લખાણ આકાશમાં દેખાશે. 1 સપ્ટેમ્બરે ગબ્બર તળેટી ખાતે સાંજે 4થી 10 વાગ્યા સુધી રાસ-ગરબા, લોક ડાયરો અને ગણેશ વંદના જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.










