દિવાળી પહેલા ગુજરાતમાં ફટાકડાના વેચાણ માટે ફાયર NOCની સત્તા અંગે મોટો વિવાદ ઊભો થયો છે. હજારો સ્ટોલ પર વેચાણ શરૂ થયા પછી છેલ્લી ઘડીએ આ સત્તા ફરી ફાયર વિભાગને સોંપાઈ છે. જાણો વિવાદ અને સુરક્ષાને લગતી ચિંતાઓ વિશે.

અમદાવાદ, મંગળવાર
દિવાળીના પાવન પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે જરૂરી એવા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોણ આપશે તે અંગેની અનિર્ણાયકતાને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. સરકારી તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી આ મામલે સ્પષ્ટતા ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
NOCની સત્તાનો વિવાદ
છેલ્લી ઘડીએ, રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ફટાકડા વેચવા કે તેનો સંગ્રહ કરવાની NOC આપવાની સત્તા ફરી એકવાર ફાયર વિભાગને સોંપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં, હજારો સ્ટોલ પર ફટાકડાનું વેચાણ ધમધોકાર શરૂ થઈ ચૂક્યું છે.
અગાઉ, ગૃહ વિભાગે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડીને 500 ચોરસ મીટર કરતા ઓછું માપ ધરાવતી દુકાન કે યુનિટ્સને ફટાકડા સંબંધિત લાયસન્સ આપવા સહિત ફાયર NOCની સત્તા જે તે પોલીસ કમિશનરને સોંપી હતી.
પોલીસના વાંધા બાદ ફેરફાર
ગૃહ વિભાગના આ નિર્ણય બાદ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે પોલીસ પાસે આ પ્રકારની ટેક્નિકલ બાબતો માટે પૂરતા માણસો કે કુશળતા નથી, તેથી સત્તા ફરી ફાયર વિભાગને સોંપવી જોઈએ. આ વાંધાના પગલે, રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડીને NOC અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવાની સત્તા ફરી એક વખત ફાયર વિભાગને સોંપી દીધી છે.
અમદાવાદમાં ગંભીર સ્થિતિ અને સુરક્ષાની ચિંતા
સરકારી તંત્રની આ ઢીલી કામગીરી અને અનિર્ણાયકતા વચ્ચે અમદાવાદમાં ઘણાં દિવસોથી ફટાકડાનું વેચાણ ચાલુ છે. અમદાવાદના રાયપુર દરવાજા ઉપરાંત દિલ્હી દરવાજા બહાર આવેલા ફટાકડાના સેન્ટર પર પણ જોરદાર ખરીદી ચાલી રહી છે. એક અંદાજ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની ફુટપાથ, ખુલ્લા મેદાનથી લઈ નાની-મોટી 3000 દુકાનોમાં ફટાકડા વેચાય છે.
દિવાળીના તહેવારને માંડ 1 (એક) સપ્તાહ બાકી છે, ત્યારે હવે સવાલ એ ઊભો થયો છે કે ફાયર વિભાગ આ તમામ હજારો જગ્યાએ ક્યારે તપાસ કરશે અને ક્યારે NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરશે? આનાથી સુરક્ષા અને કાયદાકીય પાલન અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. તંત્રની આ બેદરકારીને કારણે તહેવાર સમયે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થવાનો ભય રહેલો છે, જે નાગરિકો માટે જોખમી બની શકે છે.











