પ્લેન ક્રેશ બ્લાસ્ટ થયો અને તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું : ઘટનાસ્થળ પરથી અનેક અબોલ જીવો મૃત અવસ્થામાં જોવા મળ્યા

અમદાવાદ, શુક્રવાર : અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું ત્યાંનું તાપમાન એટલું બધું વધી ગયું હતું કે, કોઈનું પણ બચવું શક્ય જ નહોતું. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં આશરે 1.25 લાખ લીટર ફ્યુઅલ હતું, જેના કારણે ક્રેશ સમયે ભયાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના સમયે ઘટનાસ્થળનું તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ પ્લેનમાં કુલ 242 પેસેન્જર અને ક્રુ મેમ્બર હતા, જેમાંથી 241 પ્રવાસીનાં મોત થયા હતાં.
તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું !
એર ઇન્ડિયાનું આ પ્લેન ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર આવીને પડ્યું હતું. ઘટના બન્યા બાદ તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, બચાવ કાર્ય દરમિયાન ટીમને કોઈ વ્યક્તિ જીવતું મળ્યું નહોતું. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, પ્લેન ક્રેશ થયું ત્યારે ઘટનાસ્થળે એટલો મોટો બ્લાસ્ટ થયો હતો કે તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે કોઈ બચી શકે તેમ નહોતું. આ ઘટનામાં કુલ 265 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પશુ-પક્ષીઓને પણ બચવાનો સમય ન મળ્યો !
આપને જણાવીએ કે 1 SDRF અધિકારીએ આ સમગ્ર મામલે ડિટેલ્સ આપતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં પશુઓ અને પક્ષીઓને પણ બચવાનો સમય મળ્યો નહોતો. ઘટનાસ્થળ પરથી અનેક અબોલ જીવો મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને શ્વાન (ડોગ્સ) અને પક્ષીઓના (બર્ડ્સ) વધારે મોત થયા છે. આના પરથી કલ્પના કરી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક હશે. બ્લાસ્ટ વખતે કોઈને પણ બચીને ભાગવા માટે સમય નહીં મળ્યો હોય તેવું અધિકારીઓનું કહેવું છે.
265 મૃતદેહો હોસ્પિટલ ખાતે લઈ જવાયા
અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે કુલ 265 મૃતદેહોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આમાં વિમાનમાં સવાર પેસેન્જર્સ, બિલ્ડિંગમાં રહેતા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ, સ્ટાફ અને પરિસરમાં રહેતા લોકોના મોત થયાની પણ આશંકા છે. હજી પણ ઘટનાસ્થળ પર કામગીરી અને ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.











