ભણતરના ભાર નીચે વધુ એક જીવ ગયો: સુરતના 18 વર્ષના B.Tech સ્ટુડન્ટે ગાંધીનગરમાં હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

ગાંધીનગરની કર્ણાવતી કોલેજમાં ભણતા એક 18 વર્ષના B.Tech સ્ટુડન્ટે ભણતરના દબાણથી કંટાળીને હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. આ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક દબાણ પર સવાલો ઊભા કર્યા છે.

ગાંધીનગર, સોમવાર
ભણતરના અતિશય ભાર અને તણાવની સમસ્યાએ ફરી એકવાર એક યુવાનના જીવનનો અંત લાવી દીધો છે. ગાંધીનગરની જાણીતી કર્ણાવતી કોલેજના 18 વર્ષીય B.Tech સ્ટુડન્ટ, સ્મિત અરવિંદભાઈ ટિમ્બાળીયા, એ કુડાસણ વિસ્તારની એક હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે. પોલીસે આ ઘટનાને અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક અનુમાન છે કે ભણતરનો તણાવ આ દુર્ઘટનાનું કારણ બન્યો છે.

મૂળ સુરતનો વતની સ્મિત, ગાંધીનગરની યુનાઈટેડ હોમ્સ નામની હોસ્ટેલમાં રહેતો હતો અને કોલેજમાં B.Techના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. તે તેના 3 અન્ય રૂમમેટ સાથે રૂમ નંબર 823માં રહેતો હતો. રવિવારે સાંજે તેના રૂમમેટ બહાર હતા ત્યારે સ્મિત રૂમમાં એકલો હતો. થોડી વાર પછી જ્યારે એક રૂમમેટ પાછો ફર્યો અને તેણે દરવાજો ખખડાવ્યો, ત્યારે અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. શંકા જતાં તેણે અન્ય મિત્રોને બોલાવ્યા અને બધાએ ભેગા મળીને દરવાજો તોડ્યો.

દરવાજો ખોલતાની સાથે જ મિત્રોએ સ્મિતને પંખા સાથે દુપટ્ટા વડે લટકાયેલો જોયો. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હતપ્રભ થઈ ગયા હતા. તાત્કાલિક તેને નીચે ઉતારી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાની જાણ થતાં જ ઇન્ફોસિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સ્મિત દોઢેક વર્ષથી અહીં રહીને અભ્યાસ કરતો હતો અને તેના મિત્રોએ પોલીસને જણાવ્યું કે તે અભ્યાસના ટેન્શનમાં રહેતો હતો. પોલીસે રૂમની તપાસ પણ કરી, પરંતુ કોઈ સુસાઈડ નોટ મળી નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!