અર્શદીપની જગ્યાએ 24 વર્ષીય ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું

મુંબઈ, રવિવાર : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થતા તે મેચમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ દરમિયાન તેના ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચતા તેને ટાંકા લગાવવાનો આવ્યો હતો અને હવે તે ઓછામાં ઓછા 10 દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેશે. અર્શદીપની જગ્યાએ 24 વર્ષીય ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અંશુલે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા-એ માટે આક્રમક પ્રદર્શન કર્યું હતું અને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી 79 વિકેટો સાથે 486 રન પણ બનાવ્યા છે. IPL 2025માં તેણે CSK માટે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ બુધવારે (23મી જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. આ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. 17મી જુલાઈ પ્રેક્ટિસ સેશનમાં અર્શદીપ સિંહના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપ સિંહને ગંભીર ઈજા થઈ છે. તેમને ટાંકા પણ લગાવ્યા છે. તેમને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઓછામાં ઓછા દસ દિવસ લાગશે. પસંદગીકારોએ અંશુલ કંબોજને ભારતીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.’ અંશુલ કંબોજે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા-એ ટીમ માટે બે ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. 24 વર્ષીય અંશુલ કંબોજે આ બંને મેચમાં પોતાની ગતિ અને ચુસ્ત લાઇનથી પસંદગીકારો અને ચાહકોને પ્રભાવિત કર્યા હતા.
અંશુલ કંબોઝનો રેકોર્ડ કેવો છે?
અંશુલ કંબોઝે અત્યાર સુધીમાં 24 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 22.88 ની સરેરાશથી 79 વિકેટ લીધી છે અને બેટથી 486 રન પણ બનાવ્યા છે. તે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ભાગ લીધો હતો. અંશુલે CSK માટે 8 મેચોમાં 21.50 ની સરેરાશથી 8 વિકેટ લીધી હતી.











