ગુજરાત સરકારે ગુટકા, પાન મસાલા અને નિકોટીન ધરાવતી પ્રોડક્ટ્સ પરના પ્રતિબંધને વધુ એક વર્ષ લંબાવ્યો છે. જાણો આ નિર્ણયની મુખ્ય વિગતો અને તેના પાછળનું કારણ.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત સરકારે રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. આ નિર્ણય ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ 06 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા દ્વારા લેવામાં આવ્યો છે અને તેનો અમલ 13 સપ્ટેમ્બર 2025થી થશે.
આ પ્રતિબંધ લંબાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમો સ્પષ્ટ જણાવે છે કે કોઈપણ ખાદ્ય પદાર્થમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. ગુટકામાં તમાકુ અને નિકોટીનની હાજરી હોવાથી તે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તેથી, વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને આ જોખમથી બચાવવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.
જો કોઈ પણ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતા જણાશે, તો કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિફિકેશન સ્પષ્ટ સંદેશ આપે છે કે રાજ્ય સરકાર આ મુદ્દે કોઈ ઢીલ ચલાવવાના મૂડમાં નથી. આ પગલાથી ગુજરાતના જાહેર આરોગ્યને વધુ સુધારવાની દિશામાં એક મહત્વનો પ્રયાસ કરવામાં આવ્યો છે.











