દક્ષિણ ભારતમાં વાવાઝોડું દિત્વા કહેર વર્તાવવા સજ્જ છે. 30 નવેમ્બરે લેન્ડફોલ સાથે ભારે વરસાદની આગાહી છે. જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ અને કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

પશ્ચિમ બંગાળ, શુક્રવાર
દક્ષિણ ભારતના દરિયાકાંઠે ફરી એકવાર કુદરતી આફતનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું દિત્વા હવે ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ પુડુચેરીથી લગભગ 610 કિલોમીટર અને ચેન્નાઈથી 700 કિલોમીટર દૂર સ્થિત છે અને તે સતત ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આ વાવાઝોડું આગામી 30 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સમયે પવનની ગતિ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન પહોંચાડી શકે છે.
જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 30 નવેમ્બરનો દિવસ દક્ષિણ આંધ્ર અને રાયલસીમા વિસ્તાર માટે ભારે સાબિત થઈ શકે છે, કારણ કે હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર, તિરુપતિ, અન્નમય્યા, નેલ્લોર, કડપા અને પ્રકાશમ જેવા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની ભીતિ છે. તમિલનાડુમાં પણ 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેરળમાં 27 થી 29 નવેમ્બર અને કર્ણાટકમાં 29 થી 30 નવેમ્બર સુધી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. તેલંગાણામાં પણ તેની અસર 1 ડિસેમ્બર સુધી જોવા મળશે. માછીમારોને સુરક્ષાના ભાગરૂપે 30 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની કડક સૂચના આપી દેવામાં આવી છે.
આ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજ પાડોશી દેશ શ્રીલંકાની સ્થિતિ પરથી લગાવી શકાય છે. ત્યાં આ જ ચક્રવાતી સિસ્ટમને કારણે સર્જાયેલી તારાજીમાં અત્યાર સુધીમાં 47 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સાવચેતીના ભાગરૂપે શાળાઓ તથા કોલેજો બંધ કરી દેવી પડી છે. ભારતીય હવામાન વિભાગ પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 30 નવેમ્બરે જ્યારે આ વાવાઝોડું જમીન સાથે ટકરાશે ત્યારે તેની તીવ્રતા કેટલી રહે છે.










