Gujarat ST Bus Fare Hike: નવા વર્ષે મુસાફરોને ઝટકો! ST બસના ભાડામાં ફરી 3% નો વધારો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?

ગુજરાત ST બસના મુસાફરો માટે મોટા સમાચાર: નવા વર્ષની શરૂઆતમાં જ ST બસના ભાડામાં 3% નો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા 9 મહિનામાં મુસાફરો પર કુલ 13% નો બોજ વધ્યો છે. જાણો લોકલ અને એક્સપ્રેસ બસના નવા ભાડા વિશે વિગતે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતની જનતા માટે નવા વર્ષની શરૂઆત મોંઘવારીના એક નવા માર સાથે થઈ રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ST બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના લાખો મુસાફરો જે નિયમિત રીતે ST બસમાં મુસાફરી કરે છે, તેમના ખિસ્સા પર હવે વધુ ભાર આવશે. સરકારે ભાડામાં સીધો 3 ટકાનો વધારો જાહેર કર્યો છે, જેનો અમલ આજ મધ્યરાત્રિથી જ શરૂ થઈ જશે.

નવા વર્ષે જ મુસાફરોને ઝટકો
સામાન્ય રીતે લોકો નવા વર્ષે કંઇક સારા સમાચારની આશા રાખતા હોય છે, પરંતુ અહીં બસ મુસાફરોને નિરાશા સાંપડી છે. સત્તાવાર માહિતી મુજબ, 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિ એટલે કે 1 જાન્યુઆરી 2026 થી આ નવો ભાવ વધારો લાગુ થઈ જશે. આ નિર્ણયને કારણે રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા મુસાફરોને સીધી અસર થશે. નિગમ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ પૂરી પાડવા માટે આ ભાવ વધારો જરૂરી હતો.

9 મહિનામાં 13% નો બોજ વધ્યો
નોંધનીય બાબત એ છે કે, ગુજરાત એસટી નિગમ દ્વારા ખૂબ ટૂંકા ગાળામાં આ બીજો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હજુ તો માંડ 9 મહિના પહેલા જ, એટલે કે 28 માર્ચના રોજ ભાડામાં 10 ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. હવે તેમાં વધુ 3 ટકાનો ઉમેરો થતાં, છેલ્લા 9 મહિનામાં મુસાફરો પર કુલ 13 ટકા જેટલો મોટો બોજ આવી પડ્યો છે. આના કારણે મધ્યમ વર્ગ અને રોજિંદા અપ-ડાઉન કરતા લોકોનું બજેટ ખોરવાઈ શકે છે.

કોને રાહત અને કોને માર? (ભાડાનું ગણિત)
જોકે, આ ભાવ વધારામાં લોકલ મુસાફરો અને ટૂંકા અંતરની મુસાફરી કરતા લોકોને થોડી રાહત આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. GSRTC ના આંકડા મુજબ, લોકલ બસના કુલ મુસાફરોમાંથી 85% લોકો (રોજના લગભગ 10 લાખ મુસાફરો) 48 કિલોમીટર સુધીની જ મુસાફરી કરે છે. તેમના માટે નીચે મુજબની વ્યવસ્થા છે:

9 કિલોમીટર સુધી: જે લોકો 9 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, તેમના ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
10 થી 60 કિલોમીટર: જે મુસાફરો 10 કિ.મી. થી લઈ 60 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, તેમણે ટિકિટમાં 1 રૂપિયો વધુ ચૂકવવો પડશે.
આમ, ટૂંકા અંતરના મુસાફરો પર બહુ મોટો બોજ નહીં પડે, પરંતુ લાંબા અંતરની મુસાફરી કરતા લોકોએ હવે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. સરકારના આ નિર્ણય પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!