દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે મૈસૂરમાં નિધન થયું છે, જેમણે પોતાના કારકિર્દીમાં 48,000 થી વધુ ગીતો ગાઈને સંગીત જગતમાં અમર વારસો છોડ્યો છે

ભારતીય સંગીત ઉદ્યોગ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર અને ‘સંગીત કોકિલા’ તરીકે જાણીતા એસ. જાનકીનું 11 જુલાઈ, 2026 ના રોજ મૈસૂરમાં 88 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ અને સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પરિવારે આપી દુઃખદ માહિતી
એસ. જાનકીના નિધનની પુષ્ટિ તેમની પૌત્રી અપ્સરા વૈદુલાએ સોશિયલ મીડિયા પર કરી હતી. અપ્સરાએ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું કે, “ખૂબ જ ભારે હૈયે હું મારી વહાલી દાદી અને મહાન ગાયિકા એસ. જાનકીના નિધનની માહિતી શેર કરી રહી છું. પરિવારની ઉપસ્થિતિમાં તેમણે શાંતિપૂર્ણ રીતે અંતિમ શ્વાસ લીધા છે.” અપ્સરાએ ચાહકોને આ મુશ્કેલ સમયમાં પરિવારની પ્રાઈવસી જાળવવાની વિનંતી પણ કરી છે.
સંગીત જગતની ‘કોકિલા’ અને તેમનો અમૂલ્ય વારસો
એસ. જાનકી (સિસ્ટલા જાનકી), જેમને પ્રેમીઓ અને ઉદ્યોગના લોકો ‘જાનકી અમ્મા’ તરીકે સંબોધતા હતા, તેઓ દક્ષિણ ભારતની સૌથી પ્રતિભાશાળી ગાયિકા માનવામાં આવતા હતા.
રેકોર્ડબ્રેક કારકિર્દી: પોતાની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે ફિલ્મ, આલ્બમ, ટીવી અને રેડિયો માટે લગભગ 48,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા.
બહુભાષી પ્રતિભા:
તેમણે માત્ર તમિલ અને તેલુગુ જ નહીં, પરંતુ હિન્દી, મલયાલમ, સંસ્કૃત, ઓડિયા, તુલુ, ઉર્દૂ, પંજાબી, બંગાળી અને કોંકણી જેવી અનેક ભાષાઓમાં પોતાના કંઠનો જાદુ વિખેર્યો હતો.તેમનું સંગીત સદાબહાર રહેશે અને આવનારી પેઢીઓ માટે તેઓ હંમેશા એક પ્રેરણારૂપ ‘આઈકોનિક વોઈસ’ તરીકે યાદ રહેશે.











