દિલ્હીના માલવીય નગરમાં આવેલી ‘ફ્લોરિશ સ્ટે’ હોટલમાં ભીષણ આગથી 21 લોકોના મોત નિપજ્યા. મૃતકોમાં મોટાભાગના વિદેશીઓ છે. ફાયર વિભાગે 37 લોકોને સુરક્ષિત બચાવ્યા.

દિલ્હી, બુધવાર
દેશની રાજધાની દિલ્હીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના માલવીય નગરના હૌઝ રાની વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત હોટલમાં આજે સવારે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં સૌથી દુઃખદ અને ચોંકાવનારી વાત એ છે કે, આગમાં જીવ ગુમાવનારા લોકોમાં મોટાભાગના વિદેશી નાગરિકો સામેલ છે.
ક્યાં અને કેવી રીતે બની ઘટના?
આ ભયાનક દુર્ઘટના 5 માળની બિલ્ડિંગમાં આવેલી ફ્લોરિશ સ્ટે હોટલમાં બની છે. આ હોટલના બેઝમેન્ટમાં (ભોંયરામાં) ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’ આવેલું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 8:50 વાગ્યાની આસપાસ આ રેસ્ટોરન્ટમાંથી આગની શરૂઆત થઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં જ તેની જ્વાળાઓએ આખી હોટલને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
37 લોકોનું સફળ રેસ્ક્યૂ, પણ 21 જિંદગી છીનવાઈ
આગ લાગતા જ હોટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.શરૂઆતમાં ફાયર વિભાગની ટીમે બેઝમેન્ટમાંથી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.પરંતુ ધુમાડો અને આગ વધતા શ્વાસ રૂંધાવાથી મૃત્યુઆંક સીધો 21 પર પહોંચી ગયો હતો.ફાયર ફાઈટર્સે જીવના જોખમે ભારે જહેમત ઉઠાવીને બેઝમેન્ટમાં ફસાયેલા કુલ 37 લોકોને બચાવી લીધા છે.હાલમાં આ તમામ બચાવેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
રસોઈયાનો આંખે દેખ્યો અહેવાલ: આગ કેમ લાગી?
આ હોટલના રેસ્ટોરન્ટમાં મુખ્ય રસોઈયા તરીકે કામ કરતા કેસર સિંહે આ ભયાનક દ્રશ્ય અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “સવારે આશરે 8:00 વાગ્યે મેં કામ શરૂ કરવા માટે ઈલેક્ટ્રિક સ્ટવ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. બસ, આ જ સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મેં તરત જ મારા આસિસ્ટન્ટને બૂમ પાડી અને અમે જેમ-તેમ કરીને હોટલની બહાર દોડી જઈને અમારો જીવ બચાવ્યો.”
ફાયર બ્રિગેડ અને તંત્રની તાત્કાલિક કામગીરી
ફાયર વિભાગ: આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સવારે 9:00 વાગ્યે કોલ મળતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી મુજબ, પ્રાથમિક ધોરણે 2 વોટર ટેન્ડર, 2 વોટર બોઝર અને 1 ક્વિક રિસ્પોન્સ વ્હીકલ કામે લગાડવામાં આવ્યા હતા.
ધારાસભ્ય પહોંચ્યા: આ ઘટનાની જાણ થતા જ માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાય ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ જોતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, SHO, SDM અને MCD ના ડેપ્યુટી કમિશનરને જાણ કરી દેવામાં આવી હતી.
DDMA ની એક્શન: સાઉથ દિલ્હીના SDM અને DDMA અધિકારી જીતેન્દ્ર કુમારે કહ્યું કે, માહિતી મળતા જ DDMA સેલ સક્રિય કરાયો હતો.
સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં તંત્રને ખૂબ મોટી મદદ કરી છે. પ્રાથમિક તપાસમાં આગ રેસ્ટોરન્ટના ઈલેક્ટ્રિક સ્ટવથી શરૂ થઈ હોવાનું જણાય છે. જોકે, ફાયર વિભાગની ટીમ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ સત્તાવાર તપાસ હાથ ધરશે કે આ દુર્ઘટના શોર્ટ સર્કિટથી સર્જાઈ હતી કે કોઈ અન્ય બેદરકારીથી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.










