દુબઈમાં એશિયા કપ 2025ની રોમાંચક ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે.

દુબઈમાં એશિયા કપ 2025ની રોમાંચક ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ ભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ખાસ પોસ્ટ દ્વારા ટીમને અભિનંદન પાઠવ્યા, જેમાં તેમનું એક વાક્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ બન્યું છે.
વડાપ્રધાને લખ્યું: “ખેલના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ જ, ભારત જીતી ગયું.. આપણા ક્રિકેટરોને અભિનંદન.”આ ટિપ્પણીનો સંદર્ભ પાછળના રાજકીય અને સૈન્ય સંઘર્ષ સાથે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન બાદ પહેલીવાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનનું ક્રિકેટના મેદાન પર આમને-સામને થયું હતું. વડાપ્રધાનના પોસ્ટ દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો છે કે રમતગમતની સ્પર્ધામાં પણ પરિણામ સૈન્ય સંઘર્ષ જેવું જ રહ્યું છે.
આ ટુર્નામેન્ટમાં ભારતે ફાઇનલ સહિતની તમામ ત્રણેય મેચોમાં પાકિસ્તાનને કારમી હાર આપી છે. ફાઇનલ મુકાબલો ખૂબ રોમાંચક રહ્યો, જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. પાકિસ્તાનની ટીમ 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે યુવા બેટ્સમેન તિલક વર્માના (અણનમ 69 રન) દમ પર છેલ્લી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. તિલક વર્મા આ જીતનો હીરો બન્યો હતો.











