એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિનંદન સંદેશ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે.

એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિનંદન સંદેશ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. પીએમ મોદીના ટ્વીટને લગભગ ૧.૦૯ લાખથી વધુ વખત રિપોસ્ટ કરવામાં આવ્યું છે અને ૨.૭૭ કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. મોડી રાત્રે કરેલી આ પોસ્ટ પર ૪.૩૬ લાખથી વધુ લાઇક્સ અને ૨૫ હજારથી વધુ કોમેન્ટ્સ આવી છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે.
PM મોદીની પોસ્ટ અને વિવાદ
એશિયા કપની જીત બાદ પીએમ મોદીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું હતું કે, “ખેલ કે મેદાન પર ઓપરેશન સિંદૂર. નતીજા વહી, ભારત જીતા.”
પીએમની આ પોસ્ટનો સંદર્ભ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા મે મહિનામાં ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ સાથે હતો. આ ઓપરેશનમાં નવ આતંકવાદી ઠેકાણાઓને હવાઈ હુમલામાં નષ્ટ કરવામાં આવ્યા હતા અને સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેના પગલે પાકિસ્તાને ત્રણ દિવસમાં જ યુદ્ધવિરામ માટે વિનંતી કરવી પડી હતી.
સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા
પીએમ મોદીની પોસ્ટ પર ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જ્યારે દેશનો નેતા પોતે ફ્રન્ટફૂટ પર બેટિંગ કરે છે ત્યારે સારું લાગે છે. તેમની પોસ્ટ જોઈને લાગ્યું કે જાણે તેમણે સ્ટ્રાઇક લીધી અને ધમાકેદાર રન બનાવ્યા. આ જોવું ખૂબ સરસ હતું અને જ્યારે સર સામેથી નેતૃત્વ કરી રહ્યા હોય, ત્યારે નિશ્ચિતપણે ખેલાડીઓ ખુલીને રમશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે.”
ભારતે વિજેતા ટ્રોફી લેવાનો કર્યો ઈનકાર
ભારતની જીત બાદ એવો વિવાદ થયો કે ભારતીય ટીમે એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથમાંથી ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો. ભારતીય ટીમે ટ્રોફી ન ઉપાડતા પુરસ્કાર સમારોહ ત્યાં જ સમાપ્ત થઈ ગયો હતો. બાદમાં, BCCIના સચિવ દેવજીત સૈકિયાએ માહિતી આપી કે નકવી ટ્રોફી લઈને પોતાની હોટલના રૂમમાં ચાલ્યા ગયા છે અને બોર્ડ ICCમાં તેની ફરિયાદ કરશે.











