જનશક્તિ જનતા દળ (JJD)ના સંસ્થાપક તેજ પ્રતાપ યાદવ અને ભાજપના સાંસદ રવિ કિશન એકબીજાને મળતા રાજકીય ગલિયારામાં અટકળોનો દોર શરૂ થયો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પ્રચારની વચ્ચે, પટના એરપોર્ટ પર જનશક્તિ જનતા દળ (JJD)ના સંસ્થાપક તેજ પ્રતાપ યાદવ અને ભાજપના સાંસદ રવિ કિશન એકબીજાને મળતા રાજકીય ગલિયારામાં અટકળોનો દોર શરૂ થયો છે. શુક્રવારે, 7 નવેમ્બર, 2025ના રોજ, બંને નેતાઓ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ જોરદાર પ્રચાર કર્યા બાદ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ, જેમને તેમના પિતાએ અગાઉ આરજેડીમાંથી હાંકી કાઢ્યા હતા, તેમણે તાજેતરમાં જ પોતાની પાર્ટી બનાવી છે.
પત્રકારો દ્વારા ઘેરાયા બાદ, તેજ પ્રતાપે આ મુલાકાતને ઓછી આંકીને કહ્યું કે તેઓ પહેલીવાર રવિ કિશનને મળ્યા છે અને તેઓ બંને ભગવાન શિવના ભક્ત છે, તેથી તેમના વિચારો સમાન છે. જોકે, જ્યારે તેમને સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપ સાથે જોડાઈ શકે છે, ત્યારે તેજ પ્રતાપે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેના બદલે તેમણે કહ્યું, “જે કોઈ બેરોજગારી દૂર કરશે અને યુવાનોને રોજગાર આપશે, હું તેની સાથે રહીશ.” આ નિવેદનને કારણે તેજ પ્રતાપ ચૂંટણી પછી NDA સાથે જોડાણ કરી શકે છે તેવી અટકળોને બળ મળ્યું છે.
બીજી તરફ, અભિનેતામાંથી રાજકારણી બનેલા રવિ કિશને પણ આ મુલાકાતનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, “કંઈપણ થઈ શકે છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભોલેનાથના તમામ ભક્તો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખે છે, જેઓ નિઃસ્વાર્થ સેવામાં માનતા હોય અને અંગત એજન્ડા માટે રાજકારણમાં ન હોય.” આ બંને નેતાઓની આ આકસ્મિક મુલાકાત બિહારના વર્તમાન રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બની છે, જે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા નવા સમીકરણો તરફ ઈશારો કરે છે.











