જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 થી 19 સપ્ટેમ્બર દરમિયાન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 થી 19 સપ્ટેમ્બર દરમિયાન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 12 સપ્ટેમ્બરે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઉતરશે અને સીધા જૂનાગઢ જશે, જ્યાં તેઓ આ શિબિરમાં હાજરી આપશે અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રણનીતિનું રણશિંગુ ફૂંકશે.
આ શિબિરમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતૃત્વ અને સંગઠનાત્મક કૌશલ્યોનું માર્ગદર્શન આપશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવાનો છે. રાહુલ ગાંધી અગાઉ પણ આવા શિબિરોમાં કાર્યકરોને માર્ગદર્શન આપી ચૂક્યા છે.શિબિર બાદ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી પરત ફરશે. આ મુલાકાત ગુજરાત કોંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ મનાય છે, જેનાથી કાર્યકરોમાં જોમ વધશે અને 2027ની ચૂંટણી માટેની તૈયારીઓને વેગ મળશે.











