ઈરાન સાથેના તણાવ વચ્ચે ભારત માટે રાહત: દેશ ગરિમા જહાજે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કર્યું, પર્સિયન ગલ્ફમાં હજુ 14 જહાજો ફસાયા

ઈરાનના હોર્મુઝ જળમાર્ગ પર વધતા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે. ભારતીય જહાજ દેશ ગરિમા સુરક્ષિત રીતે બહાર નીકળ્યું છે, પરંતુ હજુ પણ 14 જહાજો પર્સિયન ગલ્ફમાં ફસાયેલા છે. જાણો સમગ્ર વિગત.

નવી દિલ્હી, સોમવાર
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાનના હોર્મુઝ જળમાર્ગ પર સર્જાયેલા સંકટ વચ્ચે ભારત માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ક્રૂડ ઓઈલથી ભરેલું ભારતીય જહાજ દેશ ગરિમા ઈરાનના પડકારજનક દરિયાઈ માર્ગને પાર કરીને સુરક્ષિત રીતે આગળ વધી ગયું છે.

31 ભારતીય નાવિકો સુરક્ષિત, 22 એપ્રિલે મુંબઈ પહોંચશે
રિપોર્ટ અનુસાર, દેશ ગરિમા જહાજે 18 એપ્રિલના રોજ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) સફળતાપૂર્વક પાર કરી લીધી છે. આ જહાજ પર કુલ 31 ભારતીય નાવિકો સવાર છે. અંદાજ છે કે આ જહાજ 22 એપ્રિલ સુધીમાં મુંબઈના કિનારે પહોંચી જશે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) માટે આ એક મોટી રાહત છે, કારણ કે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં તેમના કુલ 10 જહાજો આ જોખમી માર્ગ પરથી પસાર થઈ ચૂક્યા છે.

બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટના
જોકે, દરિયાઈ માર્ગે સ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં સમાચાર મળ્યા છે કે ક્રૂડ ઓઈલ ભરેલા સમનાર હેરાડ અને એક બલ્ક કેરિયર જહાજ પર હોર્મુઝમાં પસાર થતી વખતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારને કારણે આ બંને જહાજોએ તાત્કાલિક પર્સિયન ગલ્ફમાં પરત ફરવું પડ્યું છે. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજનો સ્ટાફ સુરક્ષિત છે.

પર્સિયન ગલ્ફમાં હજુ 14 જહાજો અટવાયા
દરિયાઈ જહાજો પર નજર રાખતી એજન્સીઓના જણાવ્યા મુજબ, હાલમાં પર્સિયન ગલ્ફમાં ભારતનો ધ્વજ ધરાવતા 14 જેટલા જહાજો ફસાયેલા છે. જેમાં દેશ વૈભવ અને દેશ વિભોર જેવા મોટા ઓઈલ ટેન્કરોનો પણ સમાવેશ થાય છે, જેમણે સંકટ જોતા પોતાનો રસ્તો બદલી નાખ્યો છે.

આ દરમિયાન, ઈરાની સેના દ્વારા ભારતીય જહાજ ભાગ્ય લક્ષ્મીને અટકાવવામાં આવ્યું હોવાના સમાચાર પણ મળ્યા છે. એક ઓડિયો રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે ઈરાની અધિકારીઓએ જહાજના કેપ્ટનને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ તરત જ પાછા વળી જાય.

ભારત સરકારનું કડક વલણ
ભારતીય જહાજો પર થયેલા હુમલા અને ઈરાની સેનાની કાર્યવાહીને લઈને ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં ઈરાની રાજદૂતને બોલાવીને આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ સચિવે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાના જહાજો અને નાગરિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. ભારતે ઈરાનને અગાઉ આપેલી સુરક્ષિત અવરજવરની ખાતરીની પણ યાદ અપાવી છે.

શા માટે ઈરાન જહાજોને રોકી રહ્યું છે?
હોર્મુઝ જળમાર્ગ બંધ થવા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો વિવાદ છે. અમેરિકાએ ઈરાની પોર્ટ્સ પર નાકાબંધી કરતા ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. હવે ઈરાને નિયમ બનાવ્યો છે કે કોઈપણ દેશના જહાજને સામૂહિક મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક જહાજે પસાર થવા માટે વ્યક્તિગત રીતે અને અગાઉથી મંજૂરી લેવી પડશે.

માત્ર ભારત જ નહીં, ઈરાને ચીનના જહાજ સન પ્રોફિટને પણ મંજૂરી વગર પ્રવેશતા અટકાવ્યું હતું અને તેને પાછું મોકલી દીધું હતું. મુંબઈ સ્થિત ઈરાની દૂતાવાસે પણ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે પૂર્વ મંજૂરી વગર કોઈ પણ જહાજને પ્રવેશ મળશે નહીં.

ભારત માટે દેશ ગરિમાનું સુરક્ષિત બહાર આવવું તે સુખદ સમાચાર છે, પરંતુ પર્સિયન ગલ્ફમાં ફસાયેલા અન્ય 14 જહાજો અને ત્યાંના નાવિકોની સુરક્ષા હજુ પણ ચિંતાનો વિષય છે. ભારત સરકાર આ મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!