આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ: દસ મહાવિદ્યાઓની આરાધના અને ઋતુ પરિવર્તનનો મહાઉત્સવ

15 જુલાઈથી આષાઢ માસની ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, જેમાં તાંત્રિકો અને સાધકો દસ મહાવિદ્યાઓની વિશેષ ગુપ્ત સાધના કરે છે જ્યારે સામાન્ય ભક્તો સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરે છે.

વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓ પૈકીની આષાઢ માસની ગુપ્ત નવરાત્રિનો આજથી પવિત્ર પ્રારંભ થયો છે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર અને આશ્વિન માસની નવરાત્રિ પ્રકટ રૂપે ઉજવાય છે, જ્યારે આષાઢ અને માઘ માસની નવરાત્રિ ગુપ્ત રાખવામાં આવે છે. ઉજ્જૈનના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં તંત્ર-મંત્રના સાધકો દેવી સતીની દસ મહાવિદ્યાઓ જેવી કે મા કાલી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની કઠિન ઉપાસના કરે છે. જોકે, સામાન્ય શ્રદ્ધાળુઓ માટે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની માનસિક પૂજા અને વ્રત રાખવાનું વિશેષ વિધાન છે. આજના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા સાથે શરૂઆત થયા બાદ ક્રમશઃ નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરાશે, જેમાં ભક્તો દુર્ગા સપ્તશતીના પાઠ અને વ્રત-ઉપવાસ કરે છે.

ઋતુઓનો સંધિકાળ અને પૂજાની સરળ વિધિ
આ નવરાત્રિનો સીધો સંબંધ પ્રકૃતિ અને બે ઋતુઓનો મિલન એટલે કે સંધિકાળ સાથે જોડાયેલો છે. ચૈત્ર માસમાં વસંત પૂરી થઈને ગ્રીષ્મ ઋતુ બેસે છે, જ્યારે આષાઢ માસની આ નવરાત્રિ ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનનું પ્રતીક છે. આ જ રીતે આશ્વિન માસમાં વર્ષા ઋતુ બાદ શિયાળો અને માઘ માસમાં શિયાળો બાદ વસંત ઋતુની શરૂઆત થાય છે. ગુપ્ત નવરાત્રિમાં પૂજાની તમામ વિધિઓ અને મંત્રોચ્ચાર મનમાં જ ગુપ્ત રીતે કરવાના હોવાથી તેને માનસિક પૂજા કહેવામાં આવે છે. ઘરમાં પૂજા કરતી વખતે સૌપ્રથમ વિઘ્નહર્તા ગણેશજીને સ્નાન, વસ્ત્ર અને ફળ-ફૂલ ચઢાવીને પૂજન કરવું જોઈએ. ત્યારબાદ દેવી દુર્ગાનો જળ અને પંચામૃતથી અભિષેક કરી, વસ્ત્ર-આભૂષણ, અત્તર, કુમકુમ તિલક અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. પૂજા દરમિયાન સતત ‘ઑમ દું દુર્ગાયૈ નમઃ’ મંત્રનો જાપ કરવો હિતાવહ છે અને છેલ્લે આરતી તેમજ પરિક્રમા કરી ભૂલોની ક્ષમા માંગવી જોઈએ.

ઉપવાસ પાછળ છુપાયેલું સ્વાસ્થ્ય વિજ્ઞાન
ધાર્મિક મહત્વની સાથે નવરાત્રિના વ્રત પાછળ મોટું આયુર્વેદિક અને સ્વાસ્થ્ય વિજ્ઞાન પણ છુપાયેલું છે. ઋતુ બદલાતી હોવાથી આ દિવસોમાં ઉપવાસ કે ફળાહાર કરવાથી આપણા પાચનતંત્રને પૂરતો આરામ મળે છે, જેનાથી પેટની બીમારીઓ દૂર થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અન્નનો ત્યાગ કરીને સંયમિત ભોજન લેવાથી શરીરમાં આળસ આવતી નથી, જેના કારણે મન પૂજા-પાઠમાં એકાગ્ર બને છે. આ નવ દિવસીય આધ્યાત્મિક સાધનાથી મનુષ્યના મનમાંથી નકારાત્મક વિચારો નાશ પામે છે અને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે, જે જીવનના અન્ય કાર્યોમાં પણ સફળતા અપાવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!