આ આખો મહિનો શિવભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચનામાં લીન રહેશે. ખાસ કરીને શિવલિંગ પૂજન અને જળ અભિષેકનું આ માસમાં વિશેષ મહત્ત્વ છે, જે તમામ દુઃખોને દૂર કરી શાંતિ પ્રદાન કરનારું મનાય છે.

અમદાવાદ, શુક્રવાર
આજથી ભોલેનાથના ભક્તો માટે અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આ આખો મહિનો શિવભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચનામાં લીન રહેશે. ખાસ કરીને શિવલિંગ પૂજન અને જળ અભિષેકનું આ માસમાં વિશેષ મહત્ત્વ છે, જે તમામ દુઃખોને દૂર કરી શાંતિ પ્રદાન કરનારું મનાય છે.
શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવ સૃષ્ટિના સંહારક હોવા છતાં, તેઓ તેમના ભક્તો પર ત્વરિત પ્રસન્ન થવા માટે જાણીતા છે. શિવલિંગ પર જળ અભિષેક કરવાની પરંપરા પાછળ એક અત્યંત કરુણામય અને શાંતિનો સંદેશ આપતી પૌરાણિક કથા રહેલી છે.
સમુદ્ર મંથન અને શિવનું નીલકંઠ સ્વરૂપ
પૌરાણિક કથા મુજબ દેવો અને દાનવોએ જ્યારે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી કિંમતી રત્નો અને અમૃતની સાથે-સાથે હળાહળ વિષ પણ બહાર આવ્યું. આ વિષ એટલું ભયંકર હતું કે તે સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકે તેમ હતું. દેવો અને દાનવો આ ભયંકર સ્થિતિ જોઈને ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુની સલાહ મુજબ ભોલેનાથની શરણમાં ગયા.
સૃષ્ટિ પર આવેલા આ સંકટને જોઈને દયાળુ ભોલેનાથે તે સમગ્ર વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું. વિષની તીવ્ર અસરને કારણે તેમનું ગળું વાદળી (નીલ) રંગનું થઈ ગયું, અને આથી જ તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા.
જળ અભિષેક: કષ્ટો દૂર કરતો શિવજીનો આશીર્વાદ
વિષ કંઠમાં ધારણ કરવાથી શિવજીને તીવ્ર બળતરા થવા લાગી. આ જોઈને બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને પોતાના કમંડળમાંથી જળ લઈને શિવજી પર અભિષેક કરવા જણાવ્યું. ઇન્દ્રએ જળ અભિષેક કરતા જ શિવજીની બળતરા શાંત થવા લાગી. આ પ્રસંગથી પ્રસન્ન થઈને શિવજીએ આશીર્વાદ આપ્યા કે, “જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક મારા પર જળ અભિષેક કરશે, તેની શારીરિક, માનસિક કે આર્થિક કષ્ટ દૂર થશે અને તેને શાંતિ પ્રાપ્ત થશે.”
આ જ કારણથી શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે. શિવભક્તો આ માસ દરમિયાન પૂજા-અર્ચના, વ્રત અને જળાભિષેક કરીને પોતાના અને પોતાના પિતૃઓના કલ્યાણ તથા શાંતિ માટે પ્રાર્થના કરે છે. શિવજીના આ આશીર્વાદ આજે પણ ભક્તોને તૃપ્તિ અને શાંતિનો અનુભવ કરાવે છે.










