સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ 7,500 ગણોત ખેડૂતો (ભાગ્યા) માટે માથાદીઠ 7,500ની સહાય જાહેર કરી છે. ‘હિરાબાનો ખમકાર’ અભિયાન હેઠળ 1,102 દીકરીઓને સહાય અપાઈ, 21,000 દીકરીઓનું લક્ષ્ય. જાણો આ અભિયાનની સંપૂર્ણ વિગતો.

સુરત, સોમવાર
સુરતના જાણીતા અને સફળ ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ સમાજસેવાના ક્ષેત્રે એક પ્રેરક અને ઐતિહાસિક જાહેરાત કરી છે, જેને સમગ્ર રાજ્યમાં બિરદાવવામાં આવી રહી છે. ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં સફળ વ્યવસાય ધરાવતા મૂળ બનાસકાંઠાના પિયુષ દેસાઈએ હવે 7,500 ગણોત ખેડૂતોને (જેમને સામાન્ય ભાષામાં ભાગ્યા પણ કહેવાય છે) માથાદીઠ 7,500ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરીને ખેડૂતલક્ષી સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
7,500 ગણોત ખેડૂતોને વ્યક્તિગત સહાય
સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ જે ખેડૂતો અન્યની જમીન ભાડા કે ભાગથી ખેડે છે, તેવા ગણોત ખેડૂતો ઘણીવાર આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે. તેમની આ મુશ્કેલીને સમજીને ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ 7,500 જરૂરિયાતમંદ ગણોત ખેડૂત પરિવારોને વ્યક્તિગત રીતે 7,500ની સહાય પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાતથી આવા પરિવારોને મોટી રાહત મળશે.
‘હિરાબાનો ખમકાર’: 21,000 દીકરીઓને શિક્ષણ આપવાનું લક્ષ્ય
ખેડૂતો માટેની સહાયની જાહેરાત ઉપરાંત, પિયુષ દેસાઈનું ‘હિરાબાનો ખમકાર’ અભિયાન પણ સમાજ માટે એક દીવાદાંડી સમાન બની રહ્યું છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ધારાસભ્ય કુમાર કાનાણીના હસ્તે 551 દીકરીઓને શૈક્ષણિક સહાયના ચેક અર્પણ કરાયા હતા. દરેક દીકરીને 7,500ની સહાય મળી, જેનાથી એક જ દિવસમાં કુલ 41,32,500નું વિતરણ થયું.
વિતરણ સાથે અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ કુલ 1,102 દીકરીઓને શિક્ષણ સહાય પૂરી પાડવામાં આવી છે. પિયુષ દેસાઈએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, “દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ‘હિરાબાના આશીર્વાદ’થી આ યજ્ઞને સતત આગળ વધારવાનો મારો દ્રઢ સંકલ્પ છે.”
તેમણે સ્પષ્ટ લક્ષ્ય જાહેર કરતા કહ્યું કે, આ અભિયાન દ્વારા તેઓ કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવા માંગે છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે કુલ 15.75 કરોડ (15,75,00,000)ની સહાય વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
સમાજસેવા બની જીવનનું સંતોષકારક કાર્ય
ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓ અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સફળતા મળી હતી. ઉપસ્થિત સૌએ પિયુષ દેસાઈની આ અનોખી પહેલને આવકારી હતી અને તેને સમાજના અન્ય સક્ષમ વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. નાણોટા ગામના વતની પિયુષ દેસાઈ માટે, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ આ અભિયાન, તેમની સફળ જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.










