સુરત નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કાંડ: મંજૂરી વિના 150 મકાનો તોડી પડાયાની સરકારની હાઈકોર્ટમાં મોટી કબૂલાત, SMCનો લેવાયો ઉધડો

સુરતના નાસીરનગરમાં કોઈપણ મંજૂરી વગર 150 મકાનો તોડી પાડવાના કેસમાં સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભૂલ સ્વીકારી છે. જાણો હાઈકોર્ટે SMC અને પોલીસને કેવા વેધક સવાલો કર્યા.

સુરત, સોમવાર
સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ભૂતિયા ડિમોલિશન કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ખુલ્લા મને સ્વીકાર્યું છે કે, આ વિસ્તારમાં કોઈપણ સત્તાવાર મંજૂરી વગર જ લોકોના દબાણો અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ મામલે હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC) ને આડે હાથ લેતા કડક સવાલો કર્યા છે.

અધિકારીઓ તમાશો જોતા રહ્યા અને 150 મકાનો તૂટી ગયા!
સરકારે કોર્ટમાં એ વાતની પણ કબૂલાત કરી છે કે જ્યારે નાસીરનગરમાં 150 જેટલા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ત્યાં સુરત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલો અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ હાજર હતા. આટલા મોટા અધિકારીઓની હાજરી હોવા છતાં ગેરકાયદેસર રીતે ડિમોલિશન થતું રહ્યું અને તેઓ માત્ર તમાશો જોતા રહ્યા. સરકારે આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપી દીધા છે. જોકે, લોકોમાં એવી ચર્ચા છે કે શું આ તપાસ માત્ર એક નાટક બનીને તો નહીં રહી જાય ને?

ટોરેન્ટ પાવરનો બચાવ: અમને તો માત્ર ફોન પર સૂચના મળી હતી
આ સમગ્ર મામલામાં વીજ કંપની ટોરેન્ટ પાવરે પણ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કંપનીએ જણાવ્યું કે, વીજ કનેક્શન કાપવા માટે તેમને કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો ન હતો, પરંતુ માત્ર ટેલિફોનિક સૂચના મળી હતી. ટોરેન્ટના અધિકારીઓએ કહ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યાં સુધીમાં તો 10 થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલિશનમાં કંપનીના વીજ મીટરોને પણ મોટું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

હાઈકોર્ટે કોર્પોરેશનને બરાબરનું ખખડાવ્યું
ગુજરાત હાઈકોર્ટે આ ગંભીર બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સીધો સવાલ કર્યો કે, કોઈપણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા વગર લોકોના મકાનો કેવી રીતે તોડી શકાય? શું કોર્પોરેશનના કમિશનર માત્ર ફોન પર ટોરેન્ટને સૂચના આપી દે છે? આટલું મોટું ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા?

ગુજરાત હાઈકોર્ટે લેટેસ્ટ સુનાવણીમાં પૂછેલા વેધક સવાલો:
આ કેસની ચાલી રહેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રને પરસેવો લાવી દે તેવા સવાલો કર્યા હતા:
જો આ ડિમોલિશન SMC એ નથી કર્યું, તો ઘટનાસ્થળે તેના કર્મચારીઓ શું કરી રહ્યા હતા?
હાજર રહેલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે અત્યાર સુધીમાં શું પગલાં લેવાયા?
જ્યારે સુરત પોલીસ કમિશનર (CP) ને આ બાબતે ફરિયાદ આપવામાં આવી, તો તેમણે તે કેમ ન લીધી?
ડિમોલિશન વખતે કયા-કયા અધિકારીઓ ત્યાં હાજર હતા?
અરજદારે હાજર પોલીસ કર્મચારીઓના નામ અને હોદ્દા કેમ નથી દર્શાવ્યા?
પોલીસ કમિશનર સ્પષ્ટ જવાબ આપે કે આખરે આ ડિમોલિશન SMC એ કર્યું છે કે અન્ય કોઈએ?
ટોરેન્ટ પાવર ખુલાસો કરે કે કોના કહેવાથી વીજ કનેક્શનો કાપવામાં આવ્યા?
આટલા દિવસો વીતી જવા છતાં સંલગ્ન ઓથોરિટીએ શું એક્શન લીધા?

26 પીડિત પરિવારોની ન્યાય માટે લડત
નોંધનીય છે કે, રાતોરાત ઘરવિહોણા થયેલા નાસીરનગરના 26 જેટલા પીડિતોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ પીડિત અરજદારોએ રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ અને ટોરેન્ટ પાવર કંપની સહિતના તમામ પક્ષકારો સામે પિટીશન દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

હાલમાં આ કેસમાં સરકારની કબૂલાત બાદ ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો (Suo Motu) દાખલ કરીને વધુ કડક પગલાં ભરે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વાચકોની નજર હવે એ વાત પર છે કે આ ભૂતિયા ડિમોલિશનનો અસલી માસ્ટરમાઈન્ડ કોણ છે અને તેની સામે ક્યારે કડક કાર્યવાહી થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!