દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ખેલી ‘ચાંદી’ની ગુપ્ત રમત, 1626 ટન ચાંદીની ખરીદીથી ભારતની ચિંતા વધી, જાણો શું છે મામલો?

વિશ્વ જ્યારે યુદ્ધના તણાવમાં છે ત્યારે ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદીને દુનિયાને ચોંકાવી દીધી છે. જાણો ચીનની આ હરકતથી ભારતમાં ચાંદીના ભાવ પર શું અસર થશે.

નવી દિલ્હી, ગુરૂવાર
એકતરફ આખી દુનિયા અત્યારે મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા યુદ્ધના જોખમને કારણે ચિંતિત છે, ત્યારે બીજી તરફ ચીને એક એવો ‘ગુપ્ત ખેલ’ ખેલ્યો છે જેનાથી બજારમાં ખળભળાટ મચી ગયો છે. ચીને ખૂબ જ શાંતિથી ચાંદીની વિક્રમી આયાત કરી છે. ચીનની આ હરકત બાદ હવે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા દેખાઈ રહી છે.

ચીને તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ
તાજેતરના અહેવાલો મુજબ, ચીને માત્ર માર્ચ 2026 માં જ 836 ટન ચાંદીની આયાત કરી છે. જો વર્ષ 2026 ના શરૂઆતના માત્ર 3 મહિનાની વાત કરીએ તો ચીને કુલ 1626 ટન જેટલી જંગી ચાંદીની ખરીદી કરી લીધી છે. માર્ચ મહિનામાં ચીને ચાંદીની ખરીદીમાં 78% નો વધારો કરીને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આટલી મોટી માત્રામાં અચાનક ચાંદી એકઠી કરવા પાછળ ચીનનો હેતુ શું છે, તે હવે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

આખરે ચીન કેમ ખરીદી રહ્યું છે આટલી બધી ચાંદી?
નિષ્ણાતોના મતે ચીનની આ રમત પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોઈ શકે છે:

સોનાના વધતા ભાવ: સોનાની કિંમતો આસમાને પહોંચતા હવે સામાન્ય રોકાણકારો અને મોટી કંપનીઓ ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહી છે. સોનાની સરખામણીએ ચાંદી હજુ પણ સસ્તી હોવાથી લોકો તેમાં વધુ રોકાણ કરી રહ્યા છે.
સોલર સેક્ટરની માંગ: ચીન અત્યારે સોલર એનર્જીમાં વિશ્વમાં અગ્રેસર છે. સોલર પેનલ બનાવવામાં ચાંદીનો પુષ્કળ ઉપયોગ થાય છે. ચીનની સોલર કંપનીઓ ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા અત્યારથી જ કાચો માલ (ચાંદી) જમા કરી રહી છે.
યુદ્ધનો ડર: વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોને કારણે ગમે ત્યારે સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. આ ડરને કારણે ચીને અત્યારથી જ ચાંદીનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.

ભારત માટે ચિંતાનું કારણ શું?
ચીન દ્વારા કરવામાં આવેલી આ આડેધડ ખરીદીની સીધી અસર ભારત પર જોવા મળી શકે છે. જ્યારે બજારમાં કોઈ વસ્તુની માંગ વધે અને તેની સામે પુરવઠો ઓછો હોય, ત્યારે તેની કિંમતો વધવી નિશ્ચિત છે. ચાંદીના ઉત્પાદનમાં ખાસ વધારો થયો નથી, પરંતુ ચીનની માંગને કારણે વૈશ્વિક સ્તરે અછત સર્જાઈ શકે છે.

ભારતીય બજારની વાત કરીએ તો, અહીં પણ ચાંદીના ભાવમાં ધરખમ ફેરફાર જોવા મળી શકે છે. અહેવાલ મુજબ, દેશમાં પ્રતિ કિલો ચાંદીની કિંમત 2,50,513 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જો ચીન આ જ રીતે ખરીદી ચાલુ રાખશે, તો ભારતમાં મધ્યમ વર્ગ માટે ચાંદી ખરીદવી પણ મુશ્કેલ બની શકે છે.

ચીનની આ ‘સિલ્વર પોલિટિક્સ’ માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ તેની પાછળ ઊંડી વ્યુહરચના હોઈ શકે છે. ભારત જેવા દેશો જે ચાંદીના મોટા વપરાશકાર છે, તેમણે હવે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આગામી દિવસોમાં ઘરેણાંથી લઈને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સુધી બધું જ મોંઘું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!