લદ્દાખમાં ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડના સંદર્ભમાં કહ્યું કે, “દેશમાં અધિકારો અને ન્યાય માટે લડવું હવે દેશદ્રોહ બની રહ્યું છે

શિવસેના (ubt)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે પોતાની વાર્ષિક દશેરા રેલીને સંબોધતા ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે લદ્દાખમાં ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડના સંદર્ભમાં કહ્યું કે, “દેશમાં અધિકારો અને ન્યાય માટે લડવું હવે દેશદ્રોહ બની રહ્યું છે.”
ઠાકરેએ ભાજપની સરખામણી અમીબા સાથે કરી, જે શરીરમાં પ્રવેશ કરીને પેટમાં દર્દ પેદા કરે છે અને સમાજમાં પ્રવેશ કરીને શાંતિ ભંગ કરે છે.ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે મુંબઈની સ્થાનિક ચૂંટણી પહેલાં ભાજપ ફરીથી હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપ અને સુશાસન વચ્ચે કોઈ સંબંધ નથી. તેમણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પૂછ્યું કે શું તેઓ આરએસએસના 100 વર્ષના પ્રયાસથી પેદા થયેલા ‘ઝેરી ફળ’ (ભાજપનો ઉલ્લેખ)થી સંતુષ્ટ છે?
સોનમ વાંગચુકની ધરપકડનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ જણાવ્યું કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ પર થયેલી હિંસા બાદ તેમની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ઠાકરેએ મહારાષ્ટ્રના વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે કર્જ માફી અને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની સહાયની માંગ કરી. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર પાસે બિહારમાં વોટ ખરીદવા માટે પૈસા છે, પરંતુ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત ખેડૂતો માટે કોઈ મદદ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેના (UBT) મનસે સાથે ગઠબંધન કરીને “સાથે રહેવા માટે સાથે આવી છે.”











