UGC New Equity Rules 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ઇક્વિટી નિયમ 2026 સામે દેશભરમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. જાણો શું છે આ વિવાદાસ્પદ નિયમ અને કેમ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

નવી દિલ્હી, મંગળવાર
દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાગુ કરાયેલા એક નવા નિયમને લઈને ભારે વિવાદ સર્જાયો છે. Promotion of Equity in Higher Education Institutions Regulations 2026 નામના આ નિયમ સામે સોશિયલ મીડિયા પર UGCRolleback ટ્રેન્ડ શરૂ થયો છે, અને હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં, બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ આ નિયમના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું છે. ચાલો સમજીએ કે આ નિયમ શું છે અને શા માટે તેનો આટલો વિરોધ થઈ રહ્યો છે.
શું છે UGCનો વિવાદાસ્પદ નવો નિયમ?
ગત 13 જાન્યુઆરી, 2026 ના રોજ UGC દ્વારા આ નવો ઇક્વિટી રૂલ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ દેશની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે કેટલીક જોગવાઈઓ ફરજિયાત બનાવવામાં આવી છે, જેમ કે કેમ્પસમાં 24×7 ફરિયાદ માટે હેલ્પલાઈન. એક સમાન તક કેન્દ્રની સ્થાપના. ઇક્વિટી સ્ક્વોડ અને ઇક્વિટી કમિટીની રચના. UGCએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે, તો તેની માન્યતા રદ કરવા અથવા તેનું ફંડ રોકવા જેવા કડક પગલાં લેવામાં આવી શકે છે.
UGCએ શા માટે આ નિયમ બનાવ્યો?
UGCના જણાવ્યા અનુસાર, આ નિયમનો મુખ્ય હેતુ SC, ST અને OBC સમુદાયના વિદ્યાર્થીઓ સાથે થતા જાતિ આધારિત ભેદભાવને રોકવાનો અને તેના પર નજર રાખવાનો છે. આંકડા દર્શાવે છે કે વર્ષ 2020 થી 2025 દરમિયાન જાતિગત ભેદભાવ સંબંધિત ફરિયાદોમાં 100% થી વધુનો વધારો થયો હતો. આ સિવાય, રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા ચકચારી કેસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણીઓને પણ આ નિયમ લાગુ કરવા પાછળનું એક કારણ ગણાવવામાં આવ્યું છે.
વિવાદનું મૂળ કારણ શું છે?
આ નિયમનો સૌથી વધુ વિરોધ સામાન્ય વર્ગ (સવર્ણ) દ્વારા થઈ રહ્યો છે. નિયમની કલમ 3(C) ને ભેદભાવપૂર્ણ અને મનસ્વી ગણાવીને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓનું કહેવું છે કે આ નિયમ બંધારણ દ્વારા મળેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમાનતાનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. આ નિયમ UGC એક્ટ, 1956 ની ભાવનાની વિરુદ્ધ હોવાનું પણ જણાવાયું છે.
વિદ્યાર્થીઓ અને વિરોધ કરનારાઓની ચિંતા
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની મુખ્ય ચિંતા એ છે કે આ નિયમનો દુરુપયોગ થઈ શકે છે. તેમની દલીલો નીચે મુજબ છે:
ખોટી ફરિયાદો સામે રક્ષણ નથી: નિયમમાં ખોટી કે ઉપજાવી કાઢેલી ફરિયાદો કરનારાઓ સામે કોઈ કાર્યવાહીની જોગવાઈ નથી.
પુરાવા વિના આરોપનો ભય: આનાથી કોઈપણ વિદ્યાર્થી પર વિના પુરાવે ગંભીર આરોપ લગાવી શકાશે, જે તેની કારકિર્દી અને ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ભેદભાવની અસ્પષ્ટ વ્યાખ્યા: કાયદામાં ભેદભાવ શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી, જેથી તેનું ખોટું અર્થઘટન થવાની પૂરી સંભાવના છે.
એક તરફ UGCનો હેતુ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવાનો અને ભેદભાવને નાબૂદ કરવાનો છે, તો બીજી તરફ આ નિયમની કેટલીક જોગવાઈઓને કારણે તે પોતે જ ભેદભાવ વધારનારો બની શકે તેવી આશંકા સેવાઈ રહી છે. હવે સૌની નજર સુપ્રીમ કોર્ટ પર છે કે તે આ મામલે શું નિર્ણય લે છે.











