મિડલ ઈસ્ટમાં યુદ્ધના તણાવ વચ્ચે ભારતમાં રિટેલ ફુગાવો માર્ચમાં વધીને 3.4% થયો છે. ખાદ્ય ચીજો અને જ્વેલરીના ભાવમાં ઉછાળો આવ્યો છે, જ્યારે શાકભાજીમાં આંશિક રાહત મળી છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

નવી દિલ્હી, મંગળવાર
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજાર પર પણ દેખાવા લાગી છે. વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણ વધવાને કારણે ભારતમાં મોંઘવારીના દરમાં વધારો નોંધાયો છે. તાજેતરના ડેટા મુજબ, ફેબ્રુઆરીમાં જે રિટેલ ફુગાવો 3.21% હતો, તે માર્ચ 2026માં વધીને 3.4% પર પહોંચી ગયો છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે રસોડામાં વપરાતી કેટલીક મુખ્ય વસ્તુઓના ભાવ ઘટ્યા છે, જેના કારણે મોંઘવારીનો આ વધારો બહુ મોટો દેખાઈ રહ્યો નથી.
ગામડા અને શહેરમાં મોંઘવારીની સ્થિતિ
ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના આંકડાઓ પર નજર કરીએ તો, માર્ચ મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં છૂટક મોંઘવારી દર 3.63% રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર 3.11% નોંધાયો છે. આનો અર્થ એ છે કે શહેરની સરખામણીએ ગામડાઓમાં મોંઘવારીની અસર થોડી વધુ જોવા મળી છે.
ખાદ્ય ચીજોના ભાવમાં ઉછાળો
ખાવા-પીવાની વસ્તુઓની મોંઘવારી માપતા ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI)’ મુજબ, ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી 3.48% હતી, જે માર્ચમાં વધીને 3.87% થઈ ગઈ છે. જીવનજરૂરી ચીજો પર વધતા દબાણને કારણે સામાન્ય માણસની થાળી મોંઘી થઈ છે.
ક્યાં ભાવ વધ્યા અને ક્યાં મળી રાહત?
મોટો ઘટાડો (રાહત) ડુંગળીના ભાવમાં 27.76% નો ઘટાડો થયો છે. બટાકા 18.98% અને લસણ 10.18% સસ્તા થયા છે. તુવેર દાળ અને વટાણા જેવી કઠોળની કિંમતો પણ ઘટી છે. સોનાના ભાવમાં પણ ટૂંકા ગાળા માટે 11% નો ઘટાડો નોંધાયો છે.
મોટો ઉછાળો (ઝટકો):
ચાંદીના ઘરેણાના ભાવમાં 148.61% નો આશ્ચર્યજનક વધારો થયો છે.
સોના અને હીરાની જ્વેલરી 45.92% મોંઘી થઈ છે.
ટામેટા (35.99%) અને ફુલાવર (34.11%) ના ભાવમાં મોટો વધારો થયો છે.
પર્સનલ કેર અને સામાજિક સુરક્ષા જેવી સેવાઓ 18.65% મોંઘી થઈ છે.
શિક્ષણનો ખર્ચ 3.30% અને રેસ્ટોરન્ટમાં જમવાનો ખર્ચ 2.88% વધ્યો છે.
રાજ્ય મુજબ મોંઘવારીનો દર
ભારતના અલગ-અલગ રાજ્યોમાં મોંઘવારીની સ્થિતિ જુદી જુદી છે. સૌથી વધુ મોંઘવારી તેલંગણામાં 5.83% નોંધાઈ છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશમાં 4.05% અને કર્ણાટકમાં 3.96% મોંઘવારી દર રહ્યો છે.
RBI સફળતાપૂર્વક મોંઘવારી પર કાબુ મેળવી રહ્યું છે
વિશ્વભરમાં આર્થિક સંકટ હોવા છતાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) મોંઘવારીને નિયંત્રણમાં રાખવામાં સફળ રહી છે. છેલ્લા 12 મહિનાથી RBI ફુગાવાને 4% ની નીચે રાખવામાં સફળ રહ્યું છે.
આગામી સમય માટે RBIનો અંદાજ
નાણાકીય વર્ષ 2026-27 માટે RBI એ અંદાજ લગાવ્યો છે કે સરેરાશ રિટેલ ફુગાવો 4.6% રહી શકે છે.
પ્રથમ ત્રિમાસિક (Q1): 4.0%
બીજું ત્રિમાસિક (Q2): 4.4%
ત્રીજું ત્રિમાસિક (Q3): 5.2%
ચોથું ત્રિમાસિક (Q4): 4.7%
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત હોવા છતાં, જો વૈશ્વિક યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે, તો આંતરરાષ્ટ્રીય બજારની અસર ભારતીય બજારો પર પડી શકે છે. હાલમાં શાકભાજીના ભાવમાં ઘટાડો મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે.











