બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩૦ ઓક્ટોબર (ગુરુવાર) ના રોજ નવી મુંબઈની ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાવાની છે.

આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩૦ ઓક્ટોબર (ગુરુવાર) ના રોજ નવી મુંબઈની ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાવાની છે. જોકે, આ મહત્વપૂર્ણ મુકાબલા પર વરસાદનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન અહેવાલો મુજબ, ગુરુવારે નવી મુંબઈમાં ૬૫ ટકા સુધી વરસાદની સંભાવના છે, જે મેચને રદ કરાવી શકે છે. અગાઉ પણ આ મેદાન પર વરસાદને કારણે ટૂર્નામેન્ટની કેટલીક મેચો રદ થઈ ચૂકી છે.
મેચ ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગ્યે શરૂ થશે, પરંતુ બપોરના સમયે જ વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. આ ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ ૩૧ ઓક્ટોબરના રિઝર્વ ડેના દિવસે પણ નવી મુંબઈમાં વરસાદની સંભાવના છે.
જો રિઝર્વ ડે સહિત બંને દિવસ મેચ રદ થાય, તો તેનો સીધો ફાયદો ઓસ્ટ્રેલિયાને થશે. નિયમો અનુસાર, મેચ રદ થવાના સંજોગોમાં પોઈન્ટ્સ ટેબલમાં જે ટીમનું સ્થાન ઊંચું હોય તે ટીમ ફાઇનલમાં પ્રવેશ કરે છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી અને ૧૩ પોઈન્ટ્સ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત ૬ પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. આ ગણિત મુજબ, મેચ રદ થતાં ઓસ્ટ્રેલિયાની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે.











