અંબાજી ગબ્બર ખાતે આગામી 30 જાન્યુઆરી 2026થી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. જાણો 3 દિવસના કાર્યક્રમો, વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા અને મશાલ યાત્રાની સંપૂર્ણ વિગત.

અંબાજી, ગુરૂવાર
યાત્રાધામ અંબાજી એ ગુજરાત જ નહીં પણ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે માઈભક્તો માટે એક મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અંબાજીના ગબ્બર ખાતે ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શનનો અનોખો લ્હાવો
સામાન્ય રીતે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવા ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે આ મંદિરો ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં પણ આવેલા છે. પરંતુ અંબાજીમાં ગબ્બરની ફરતે 2.5 કિલોમીટરના પરિક્રમા માર્ગ પર આ તમામ મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 62 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન ભક્તો અહીં પરિક્રમા કરીને એક સાથે તમામ શક્તિપીઠના દર્શનનું પુણ્ય મેળવી શકશે.
ત્રણ દિવસ સુધી ચાલશે ભક્તિનો ઉત્સવ: જાણો કાર્યક્રમની રૂપરેખા
આ મહોત્સવ પૂરા ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં દરરોજ અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે:
પહેલો દિવસ (30 જાન્યુઆરી 2026): મહોત્સવની શરૂઆત સવારે 9:30 વાગ્યે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રાથી થશે. આ દિવસે સાધુ-સંતો ભક્તોને આશીર્વાદ આપશે અને આનંદ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.
બીજો દિવસ (31 જાન્યુઆરી 2026): બીજા દિવસે ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન છે. આ ઉપરાંત, શક્તિપીઠ સંકુલમાં પવિત્ર શક્તિ યાગ એટલે કે યજ્ઞ કરવામાં આવશે અને પરિક્રમા સ્પર્ધા પણ યોજાશે.
ત્રીજો દિવસ (01 ફેબ્રુઆરી 2026): મહોત્સવના છેલ્લા દિવસે જ્યોત યાત્રા, ચામર યાત્રા અને ભવ્ય મશાલ યાત્રા નીકળશે, જેની સાથે આ ધાર્મિક ઉત્સવનું સમાપન થશે.
યાત્રાળુઓ માટે ખાસ સુવિધાઓ
લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મફત ભોજન: શ્રદ્ધાળુઓ માટે અંબિકા ભોજનાલય, GMDC ગ્રાઉન્ડ, માંગલ્યવન, RTO સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા રહેશે.
રોશનીનો શણગાર: રાત્રિના સમયે ગબ્બર પર્વત અને પરિક્રમા માર્ગ રોશનીથી ઝળહળી ઉઠશે, જે નજારો જોવા જેવો હશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો: ગુજરાતની પરંપરાને ઉજાગર કરતા આદિવાસી નૃત્યો, ઢોલ-નગારા અને લોક કલાકારોના કાર્યક્રમો ભક્તોનું મનોરંજન કરશે.
વડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ
તમને જણાવી દઈએ કે, આ શક્તિપીઠ પરિક્રમા પ્રોજેક્ટનું ભૂમિપૂજન વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને 2014માં તેનું લોકાર્પણ થયું હતું. આજે આ સ્થળ દુનિયાભરના પ્રવાસીઓ અને ભક્તો માટે એક મોટું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. તો જો તમે પણ મા અંબાના આશીર્વાદ લેવા માંગતા હોવ, તો આ તારીખો નોંધી લેજો અને અંબાજી આવવાનું ચૂક્શો નહીં.











