રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ નિમિત્તે, વિજયા દશમીના પર્વ પર ગુજરાતમાં 672 સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.65 લાખથી વધુ સ્વયંસેવકો જોડાશે. જાણો આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ અને સંઘની ભવિષ્યની યોજનાઓ વિશે.

અમદાવાદ, મંગળવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ વર્ષે તેના સ્થાપનાના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, જેને “શતાબ્દી વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક પળને ખાસ બનાવવા માટે ગુજરાતમાં RSS દ્વારા ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજયા દશમીના શુભ દિવસે ગુજરાતના કુલ 672 સ્થળો પર ખાસ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં સંઘના 1.65 લાખથી વધુ સ્વયંસેવકો જોડાશે. આ અંગે અમદાવાદમાં પશ્ચિમ ગુજરાત સર સંઘ ચાલક ડો. જયંતિ ભાડેસિયાએ જણાવ્યું હતું કે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ઉત્સવમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સંઘનો વ્યાપ વધારવાનો મોટો ટાર્ગેટ
RSS ફક્ત કાર્યક્રમો સુધી સીમિત નથી. સંઘનો વ્યાપ વધારવા માટે આગામી સમયમાં ગુજરાતમાં 90 લાખ ઘરોનો સંપર્ક કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્ય માટે 2 લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાશે. આટલું જ નહીં, રાજ્યના 18 હજાર ગામડાઓને માત્ર 23 દિવસમાં કવર કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.
વિવિધ સ્તરે કાર્યક્રમો અને તેના ઉદ્દેશો
RSS દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સ્તરે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
* તાલુકા સ્તરે: કુલ 4670 હિન્દુ સંમેલનો યોજાશે, જેમાં અંદાજે 14 લાખ લોકો ભાગ લેશે.
* તાલુકા/નગર સ્તરે: 571 સદભાવ બેઠકો યોજાશે.
* જિલ્લા સ્તરે: 92 જેટલી પ્રમુખ જન ગોષ્ઠિઓનું આયોજન થશે.
* યુવા સંમેલનો: તાલુકા અને નગર સ્તરે 580 યુવા સંમેલનો યોજાશે, જેમાં 87 હજાર યુવાનો જોડાશે.











