ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાના હવાઈ ક્ષેત્ર પરનો પ્રતિબંધ 23 ઓક્ટોબર, 2025 સુધી લંબાવ્યો છે. જાણો NOTAMની વિગતો અને બંને દેશો વચ્ચેના તણાવની સંપૂર્ણ માહિતી.

નવી દિલ્હી, મંગળવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, જેની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર ફરી એકવાર જોવા મળી રહી છે. ભારતે પાકિસ્તાની ફ્લાઇટ્સ માટે પોતાનું એરસ્પેસ બંધ રાખવાનો નિર્ણય લંબાવ્યો છે. આ માટે એક નવી નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર કરવામાં આવી છે, જે મુજબ આ પ્રતિબંધ હવે 23 ઓક્ટોબર, 2025 સુધી લાગુ રહેશે.
કોના પર લાગુ થશે આ પ્રતિબંધ?
સરકારના આ નિર્ણયની અસર માત્ર પાકિસ્તાની એરલાઇન્સ પર જ નહીં, પરંતુ તેનાથી જોડાયેલી તમામ ગતિવિધિઓ પર થશે. NOTAM માં સ્પષ્ટપણે જણાવાયું છે કે:
પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ થયેલા કોઈપણ વિમાન
પાકિસ્તાની એરલાઇન્સ અથવા ઓપરેટરો દ્વારા સંચાલિત, માલિકીના કે ભાડે લીધેલા વિમાનો.
પાકિસ્તાનની મિલિટરી ફ્લાઇટ્સ
આ તમામ પ્રકારના વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ રહેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને હાલ પાકિસ્તાનને આ મામલે કોઈ રાહત મળવાના સંકેત નથી.
તણાવનું મુખ્ય કારણ અને પાકિસ્તાનનું વલણ
ઉલ્લેખનીય છે કે, આ પ્રતિબંધ પહેલીવાર નથી લાદવામાં આવ્યો. આ વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. ત્યારથી, બંને દેશો એકબીજા માટે પોતાનું એરસ્પેસ બંધ કરી રહ્યા છે અને દર મહિને સમયમર્યાદા પૂરી થતાં પહેલાં તેને લંબાવી રહ્યા છે.











