દહેગામના લિહોડામાં કેમિકલના પાપે પ્રલય: કોલ્ડ સ્ટોરેજના ઝેરી પાણીથી હજારો માછલીઓના મોત, ખેડૂતોનો પાક બળીને ખાખ

ગાંધીનગરના દહેગામ તાલુકાના લિહોડામાં ગંભીર ઘટના! કોલ્ડ સ્ટોરેજના ઝેરી કેમિકલયુક્ત પાણીથી તળાવમાં હજારો માછલીઓ મૃત્યુ પામી અને ખેડૂતોનો પાક બરબાદ થયો. જાણો ગ્રામજનોમાં કેવો રોષ છે અને તંત્રએ શું પગલાં લીધા.

દહેગામ, મંગળવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. લિહોડા ગામના તળાવમાં નજીકના એક કોલ્ડ સ્ટોરેજમાંથી છોડવામાં આવેલા ઝેરી અને કેમિકલયુક્ત પાણીને કારણે હજારો માછલીઓ મોતને ભેટી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફેલાયો છે.

ઝેરી પાણીથી તળાવમાં મોતનું તાંડવ
પ્રાપ્ત વિગતો મુજબ, લિહોડા ગામના તળાવમાં છેલ્લા ઘણા સમયથી નજીકમાં આવેલા કોલ્ડ સ્ટોરેજનું ગંદુ પાણી છોડવામાં આવતું હતું. ગ્રામજનો દ્વારા અગાઉ બૂમરાણ મચાવવા છતાં આ સિલસિલો ચાલુ રહ્યો હતો. છેવટે, આ ઝેરી પાણીની અસરને કારણે તળાવમાં ઓક્સિજન ઘટતા હજારો માછલીઓ તરફડીને મરી ગઈ છે. તળાવની સપાટી પર મૃત માછલીઓના થર જામી ગયા હતા, જેને જોઈને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. માછલીઓના સામુહિક મોતને કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે.

ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું
આ પ્રદૂષિત પાણીની અસર માત્ર જળચર જીવો પૂરતી સીમિત નથી રહી. કોલ્ડ સ્ટોરેજના આ ગંદા પાણીએ ધરતીપુત્રોને પણ રાતા પાણીએ રોવડાવ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આશરે 7 જેટલા ખેતરોમાં આ કેમિકલવાળું પાણી ફરી વળ્યું છે. જેના કારણે ખેતરમાં ઉભેલો તૈયાર પાક બળી ગયો છે. ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.

તંત્ર એક્શનમાં: પંચનામું અને નોટિસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ લિહોડા ગ્રામ પંચાયતનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તલાટીએ ગ્રામજનોની હાજરીમાં વિગતવાર પંચનામું કર્યું છે. તાલુકા વિકાસ અધિકારીને લેખિત રિપોર્ટ આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. પંચાયત દ્વારા કોલ્ડ સ્ટોરેજને નોટિસ આપીને 4 દિવસમાં તળાવ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

કોલ્ડ સ્ટોરેજ સંચાલકોની બાહેંધરી
આ સમગ્ર મામલે લિહોડા નજીક આવેલા લાખાના મુવાડા ગામના સરપંચ રમેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ તળાવ (સર્વે નંબર 293) અમારી પંચાયતની હદમાં આવે છે. ‘શિવ સાગર કોલ્ડ સ્ટોરેજ’ માંથી છોડવામાં આવેલા કેમિકલયુક્ત પાણીને કારણે લાખોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે. જોકે, સરપંચના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા નુકસાનનું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. સાથે જ, કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ લેખિત બાહેંધરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટના બીજીવાર નહીં બને.

ગ્રામજનોમાં હજુ પણ ભારે રોષ
ભલે વળતર ચૂકવાયું હોય, પરંતુ લિહોડાના ગ્રામજનોમાં હજુ પણ રોષ ભભૂકી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે, કોલ્ડ સ્ટોરેજ સંચાલકો તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ કરાવે. ભવિષ્યમાં ક્યારેય પણ ઝેરી પાણી તળાવમાં ન છોડવામાં આવે તેની ખાતરી આપે. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા કડક દાખલો બેસાડવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!